પોરબંદરમાં પાણી પુરવઠા, સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. પોરબંદર મુલાકાતે આવેલા મંત્રી સૌ પ્રથમ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ચરખો અને પુસ્તક અર્પણ કરીને મંત્રીનું સ્વાગત કર્યું હતું. તેમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મારી પસંગી કરી એ બદલ મુખ્યમંત્રીનો આભારી છું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જિલ્લાના પ્રભારી મંત્રી થવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પોરબંદરની સ્થિત સિંચાઇ વિભાગનું કોસ્ટલ પ્રોટેક્શન વર્ક ટુ કોમબાટ સી ઇરોઝન ફ્રોમ ઇન્દ્રેશ્વર, ટુ ખારવાવાડ ખાતે આવેલા વિકાસના કામનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન દરિયાના પાણીથી થતાં નુકશાનને અટકાવવા અને ચોપાટીની સુંદરતામાં વધારો કરવા માટે વોક વેની પ્રગતિ હેઠળની કામગીરીનું પણ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ પુર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયા, કુતિયાણા નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરી શુભેચ્છા મુલાકાત કરી હતી. જિલ્લાના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Recent Comments