સૌરાષ્ટ - કચ્છ

નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા બાબતે પૂજારીના પરિવાર પર જીવલેણ હુમલો

મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે અને દેવોના દેવના દર્શન માટે લોકો પડાપડી કરતાં હોય છે. તેમાં પણ ૧૨ જ્યોતિંલિઁગમાંનું એક જ્યોતિંલિઁગ એટલે નાગેશ્વર મંદિર. જ્યાં વર્ષના ૩૬૫ દિવસ દર્શન કરવા લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલા સુવિખ્યાત યાત્રાધામ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે બપોરે સ્થાનિક શખ્સોએ દર્શન કરવા માટે આવતા તેમના યાત્રાળુઓને મંદિરમાં વચ્ચેથી દર્શન કરાવવાની હટ પકડી. જે બાબતે મંદિરમાં રહેલા પુજારી તથા પરિવાર સાથે વાત કરતાં તેઓ દ્વારા ના કહી, સમજાવવા જતાં ઉશકેરાયેલા શખ્સોએ પૂજારી તથા તેમના પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો.

આરોપી શખ્સોએ પૂજારી પરિવારના મારી નાખવાના ઇરાદાથી હુમલો કરતા તેમને તથા તેમના અન્ય પરિવારજનોને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. દર્શનાર્થીઓનો વચ્ચેથી વારો લેવા બાબતે આરોપી શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, અનધિકૃતરીતે પ્રવેશ કરી અને પૂજારી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ હથિયારો વડે મંદિરમાં બે ખુરશી, ત્રણ લેમ્પ તથા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે મીઠાપુર પોલીસે મંદિરમાં સેવા-પૂજા કરતાં નયનભારથી હરીશભારથી ગોસ્વામી (ઉ.વ. ૨૫)ની ફરિયાદ પરથી પાંચ જેટલા અજાણ્યા સહીત કુલ ૧૯ જેટલા સામે આઈ.પી.સી. કલમ ૩૦૭, સાથે કલમ ૩૫૪, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં નવ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પૂજારી પરિવાર સાથે મંદિર પરિસરમાં બનેલા બઘડાટીના આ બનાવે સમગ્ર ઓખા મંડળમાં ભારે ચકચાર જગાવી છે.

Related Posts