ઘોર કળિયુગ આવી ગયો છે ત્યારે શાહપુર તાબે ભોઈનાવડ ગામમાં રહેતા સંજયભાઈ રાવજીભાઈ પરમારના લગ્ન કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં ૧૧ વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં ૧૦ વર્ષનો દીકરો અને ૫ વર્ષની દીકરી હતી. સંજયભાઈની પત્ની પુષ્પાને ગામના કૌટુંબિક પરિણીત યુવક સાથે આંખો મળી જતાં અઠવાડિયા અગાઉ બંને પરિવાર અને ગામ છોડી ભાગી ગયા હતા. સગાંસંબંધીઓના મતે પુષ્પાને ભગાડી જનાર યુવકે સંજયભાઈને ગત રોજ ફોન કર્યો હતો. બની શકે કે ભગાડી જનાર યુવક અને પુષ્પાએ સંજયભાઈને ફોન પર કોઈ એવી વાત કરી હશે જે બાબતે સંજયને મનમાં લાગી આવ્યું હતું. જેથી સ્કૂલ છૂટ્યા બાદ સંજય દીકરીને લેવા ગયો હતો, પરંતુ તે પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરતા તેનું બાઇક નર્મદા કેનાલ પરથી મળી આવતાં સંજયે દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યાનો અંદાજ આવી ગયો હતો. સંજયની દીકરી શિવાની ધોરણ ૧માં અભ્યાસ કરે છે.
તે ગંગાપુરા પ્રાથમિક શાળામાં દીકરીને લેવા ગયો હતો. ત્યાંથી પોતાના ટૂ-વ્હીલર પર કઠલાલ થઈ આંત્રોલી પાસેની નર્મદા નહેરના પુલ પર પોતાનું ટૂ-વ્હીલર મૂકી પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. દીકરીને ક્યાં ખબર હતી કે પિતા ઘરના બદલે મોતની ગોદમાં લઈ જઈ રહ્યા છે! સંજયભાઈ પરમારને સંતાનમાં ૧૦ વર્ષનો દીકરો યુવરાજસિંહ અને ૫ વર્ષની દીકરી શિવાની હતી. પત્ની પુષ્પા લગ્નના ૧૧ વર્ષ બાદ પણ બે નાનાં સંતાનોને તરછોડી અન્ય યુવક સાથે ભાગી જતાં ૧૦ વર્ષના દીકરાને લહેરજીના મુવાડા ખાતે રહેતા નાના બાબુભાઈ પરમાર લઈ આવ્યા હતા. જ્યારે શિવાની પોતાનાં બા-દાદા અને પિતા સાથે રહેતી હોય પિતાએ તેની સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. સંજયે દીકરી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું. એ બાદ ૨૦ કલાક બાદ પુત્રીનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. જ્યારે સંજયભાઈનો મૃતદેહ ૨૪ કલાક બાદ મળી આવતાં પરમાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
કઠલાલ તાલુકાના ભોઈના વડ ખાતે રહેતા રાવજીભાઈ પરમારને સંતાનોમાં બે દીકરા પૈકી મોટો દીકરો સંજયે પત્ની ભાગી જવાથી આપઘાત કર્યો, જ્યારે અન્ય એક દીકરો કિસ્મત પણ ૧ વર્ષ અગાઉથી ગુમ છે, જેનો આજદિન સુધીમાં અતોપતો લાગ્યો નથી. ત્યારે માતા-પિતાએ જીવનસંધ્યાએ ૧ વર્ષના ગાળામાં બે દીકરા ગુમાવતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.લગ્નનાં ૧૧ વર્ષ બાદ પત્ની ગામના જ અન્ય યુવક સાથે ભાગી જતાં બે સંતાનના પિતાએ દીકરી સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. કઠલાલ તાલુકાના શાહપુર તાબે ભોઈનાવડ ગામના ૩૦ વર્ષીય સંજયભાઈએ તેમની ૫ વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર મળતાં જ ફતિયાબાદ કેનાલ પર લોકનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સ્થાનિક પોલીસ અને ગ્રામજનો દ્વારા તરવૈયા બોલાવી બંનેની શોધખોળ કરતાં ૨૦ કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહો મળ્યા છે. સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments