અમરેલી

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનું ૧૧ નિશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પ દ્રારા અભૂતપૂર્વ સન્માન

જગદીશ ત્રિવેદીએ પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી જાહેરાત કરી હતી કે હું આજીવન હવેથી શાલ, ફૂલહાર, સન્માનપત્ર કે મોમેન્ટો જેવી કોઈ સ્થુળ વસ્તુ વડે સન્માન સ્વીકારીશ નહીં પરંતુ કોઈને મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરે અને હું એમાં હાજર રહીને મારો ફાળો પણ આપીશ.

 આ સદવિચારથી પ્રેરીત થઈને ૩૧ માર્ચની સવારે સુરેન્દ્રનગરના રતનપર ખાતે શહેરની સર્વશ્રેષ્ઠ શાળા દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી મહેશ કાનાણીએ તદ્દન નિશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને તેમાં આશરે પચીસ જેટલાં ગામનાં એક હજારથી વધું દર્દીઓને નિદાન સાથે ઉપચાર એટલે દવા પણ નિશૂલ્ક કરી આપવામાં આવી હતી. જો કોઈને ઓપરેશનની જરુર જણાય તો એ પણ તદ્દન નિશૂલ્ક કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

 આ પ્રસંગે લોકપ્રિય ડો. શ્યામ શાહ યુવાન ડોક્ટર્સની ટીમ લઈને ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ઉદઘાટનમાં જાહેરાત કરી કે મારા પ્રેરણામૂર્તિ એવા ડો. જગદીશ ત્રિવેદીને ૩૩ દિવસમાં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી એવોર્ડ એમ બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા એ નિમિત્તે લોકો જ્યાં બોલાવે ત્યાં હું મારી પુરી ટીમ સાથે આવીને આવા કુલ ૧૧ સર્વરોગ નિદાન કેમ્પ તદ્દન નિશૂલ્ક કરી આપીશ.

 એ ક્ષણે જ શ્રી સ્વામીનારાયણ વિદ્યાર્થીભૂવનનાં કોઠારી પ.પૂ. મહાત્માસ્વામીએ રામનવમીના દિવસે તા. ૧૭/૪/૨૪ના રોજ પોતાના ગુરુકુળમાં આ શ્રૃંખલાનો બીજો કેમ્પ કરવાની જાહેરાત કરી હતી તો પ્રથુગઢ શાળાના આચાર્યએ પણ એપ્રિલ માસમાં ત્રીજો કેમ્પ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જાણીતા શિક્ષણવિદ મુકેશ નિમાવતે પોતાની અણીન્દ્રા ખાતેની શાળામાં જગદીશ ત્રિવેદીના જન્મદિવસે ચોથો સર્વરોગ નિદાન કેમ્પ કરવાની જાહેરાત કરી છે. 

આમ એક કલાકારના “ સન્માન બદલે  સમાજસેવા” ના સદવિચારથી પ્રેરીત થઈને કુલ ૧૧ જેટલાં તદ્દન નિશૂલ્ક સર્વરોગ નિદાનકેમ્પ મફત દવા અને ઓપરેશન સાથે થશે એ કોઈપણ પદ્મશ્રીને મળેલું અભૂતપૂર્વ સન્માન છે. આ સાથે પ્રથમ કેમ્પના ઉદઘાટનની તસવીરો સામેલ છે.

Related Posts