ગુજરાત

પલસાણા : ” દહેજની માંગ પૂરી ની થતા જમાઈએ મારી દીકરીને બીજા માળેથી ધક્કો મારી દીધો સાહેબ” આ શબ્દો છે દીકરીના પિતાના ; વાંચો આ અહેવાલમાં

મૂળ ઉત્તરપ્રદેશનું તેમજ હાલ પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડન્સીમાં રહેતી પરિણીતા બીજા માળેથી પડતાં મોત નીપજયું હતું. જોકે યુવતીના પિતાએ જણાવ્યુ હતું કે તેનો જમાઈ અવાર નવાર દહેજની માંગણી કરી યુવતી સાથે મારઝૂડ કરતો હતો અને તેણે જ દીકરીને બીજા માળેથી ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડન્સીમાં રહેતા અને મૂળ યુપીના વતની રાજકુમાર બેચનલાલ તિવારીની 26 વર્ષીય દીકરી પ્રીતિબેનના લગ્ન અનુરાગ ક્રિષ્નાકુમાર પાંડે (હાલ રહે, સિદ્ધેશ્વર રેસિડન્સી, જોળવા, મૂળ રહે, અતરૌરા, જી-પ્રયાગરાજ, યુ.પી) સાથે તા-12-05-2019ના રોજ થયા હતા. અનુરાગ કડોદરા ચાર રસ્તા ખાતે આવેલી એન.જે.ટેક્ષટાઈલ્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

લગ્નના પંદરેક દિવસ બાદથી જમાઈ અનુરાગ પ્રીતિબેન પાસે દહેજના રૂપિયાની માંગણી કરી મારઝૂડ કરતો હતો અને પ્રીતિના ઘરેણાં પણ લઈ લીધા હતા. જે બાદ પ્રીતિના પિતાએ ગામ ગઈ બંને પરિવારના વડીલો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. છતાં પણ પતિ પરણીતાંને અવારનવાર દહેજ બાબતે ત્રાસ આપતો રહ્યો હતો. ગત 26 એપ્રિલના રોજ રાત્રિના પરિણીતાના પિતા રાજકુમાર બિલ્ડીંગના ધાબા ઉપર સુવા ગયા હતા અને વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જમાઈ અનુરાગ ધાબા પર આવ્યો હતો અને રાજકુમારને જણાવ્યુ હતું, કે પ્રીતિ આપણી બિલ્ડીંગમાંથી કૂદી ગયેલ છે. જેથી તે નીચે પહોંચી જોતાં પ્રીતિ બિલ્ડીંગના ભાગે પડેલ હતી. રાજકુમારે આસપાસ રહેતા સંબંધીને બોલાવ્યા હતા અને 108 બોલાવી પ્રીતિને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ફરજ ઉપર હાજર ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પ્રીતિના પિતાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યુ હતું, કે જમાઈ અવારનવાર દહેજની માંગણી કરતો હતો અને જે રકમ ન ચૂકવી શકતા જમાઇ અનુરાગે જ પ્રીતિને બિલ્ડીંગના બીજા માળેથી ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે પલસાણા પી.એસ.આઈ.ગઢવીએ અનુરાગ પાંડે વિરુદ્ધ પરિણીતાના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પતિ અનુરાગ પાંડેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

Related Posts