રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં બસમાં બ્લાસ્ટઃ ૧૩ લોકોના મોત, ૯ ચીની નાગરિકોનો સમાવેશ

પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં એક બસમાં થયેલા બ્લાસ્ટમાં ૧૩ લોકોનાં મોત થયા છે, જેમાં ૯ ચીનના નાગરિક હતા. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. મળતા અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાં એક ડેમનું બાંધકામ ચાલી રહ્યું છે અને તેમાં ચીનની કંપની પણ કામ કરી રહી છે. આમ આ ડેમના બાંધકામમાં ચાઈનિઝ નાગરિકો પણ સામેલ છે.

આજે ચાઈનિઝ નાગરિકો અને બીજા કર્મચારીઓ તથા સુરક્ષા કરી રહેલા સૈનિકો એમ ૩૦ લોકોને લઈ જઈ રહેલી બસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ૧૩ લોકોના મોત થયા છે. આ પૈકી ૬ ચાઈનિઝ એન્જિનિયર પણ છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરનારાઓનો આંકડો વધી શકે છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ છે કે ધમાકો એટલો ખતરનાક થયો હતો કે, બસ એક નાળામાં જઈને ખાબકી હતી અને ભારે નુકસાન થયુ હતું. એક ચીની નાગરિક અને એક જવાન ગાયબ પણ છે. તેમણે જણાવ્યુ હતું કે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સરકારી મશીનરી આ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ઘાયલ લોકોને જલ્દીથી હોસ્પિટલમાં પહોંચાડી શકાય. ઘાયલોની મદદ માટે એર એમ્બ્યુલન્સની મદદ પણ લેવાઈ રહી છે. આ બ્લાસ્ટમાં છ ચીની નાગરિક, એક અર્ધસૈનિક જવાન અને એક સ્થાનિક વ્યક્તિ માર્યો ગયો છે. જ્યારે કેટલાય લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.

વિસ્ફોટકોની તિવ્રતા કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખૈબર પખ્તૂનવામાં પાક સેના પર આતંકી હુમલો થયો હતો અને તેમાં પાક સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત ૧૨ જવાનોના મોત થયા હતા અને બીજા ૧૫ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાનમાં બીજા આતંકી હુમલો થયો છે. જાેકે બસ વિસ્ફોટ માટે કોણ જવાબદાર છે તે હજી સામે આવ્યુ નથી.
હઝારા ક્ષેત્રના વરિષ્ઠ વહીવટી અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, બસ ૩૦થી વધુ ચીની ઇજનેરોને લઇને કોહિસ્તાનના દાસુ ડેમના સ્થળે લઈ જઈ રહી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકાત ઝાઓ લિજિઆને કહ્યું કે આ હુમલાથી ચીન આઘાતમાં છે અને ઘટનાની આકરી નિંદા કરે છે. ચીની પ્રવકતાએ ઇમરાન સરકાર સામે માંગણી કરી કે આખા કેસની કડકાઇથી તપાસ થવી જાેઇએ અને હુમલાના દોષિતોની ધરપકડ કરવામાં આવે અને ઇમાનદારીની સાથે ચીનના નાગરિકો અને પ્રોજેક્ટની રક્ષા કરવામાં આવે.

Related Posts