ભાવનગર

પાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ’કાવ્યપઠન સ્પર્ધા’નું આયોજન

પાલીતાણા ખાતે આવેલી મોડેલ સ્કૂલ, માનવડ દ્વારા ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની પંદર દિવસીય ઉજવણીનાં ચોથાં મણકાંનાં ભાગરૂપે શાળાનાં બાળકો માટે ’કાવ્ય પઠન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને  ત્યારબાદ પાલીતાણાનાં અગ્રણી અને પ્રખર દેશભક્ત એવાં શ્રી દાનાભાઈ જોગરાણાએ છત્રપતિ શિવાજી મહારાજના જીવન-કવન અંગે વિદ્યાર્થીઓને સરસ માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લોકસાહિત્યકારશ્રી વસંતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પોતાનાં વક્તવ્યમાં લોકસાહિત્યનો રસાસ્વાદ કરાવી વિદ્યાર્થીઓને રસ તરબોળ કરી દીધાં હતાં.

તેઓએ આ પ્રસંગે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને શાળા પરિવારને પંદર દિવસ લાંબી ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીનું આયોજન કરવાં બદલ આશિર્વચન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.        

ઉલ્લેખનીય છે કે, ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ શાળા દ્વારા વિવિધ વિષયો પર ૧૫ દિવસ સુધી વિવિધ સ્પર્ધા, લેખન, ચિત્રકામ, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે ’આઝાદીમાં ક્રાંતિકારીઓનો ફાળો’ પર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts