ગુજરાત

પાવાગઢ નજીક ગોધરાના મંદિરના મહંતને કારે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

પાવાગઢ નજીક કાર અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા પાવાગઢ આવેલા ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના મહંતને સ્વીફ્ટ કારે ટક્કર મારતા મહંતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. ગોધરાના ગરદન રોડ ઉપર બાવાની મઢીના શિવ લક્ષ્મીનારાયણ મંદિરના ૭૧ વર્ષીય મહંત રાઘવદાસજી મહારાજ મંદિર ખાતે આગામી ૨૫મી ડિસેમ્બરે ગોધરા મંદિર ખાતે રાખવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા નીકળ્યા હતા. એક અનુયાયી ભક્તની ગાડીમાં હાલોલના કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજને પત્રિકા આપી પ્રસાદી લઈ પાવાગઢ નીકળ્યા હતા. પાવાગઢ ગેટ નજીકના પાતાળ તળાવ સામે આવેલા હનુમાનજી મંદિર ખાતે પહોંચી આગળનો પ્રવાસ બસમાં કરી લેશે તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ ભક્ત અનુયાયીને ત્યાંથી રવાના કર્યો હતો અને ત્યાં આશ્રમમાં આમંત્રણ આપી પાવાગઢ મહાકાળી મંદિરે જવા માટે રોડ ઉપર આવતા સ્વીફ્ટ કારની અડફેટે આવી જતા મહંતનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ મહંતના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્યના પાર્સિંગની વડોદરાની કાર લઈ ચાલક વડોદરાથી જાંબુઘોડા જઈ રહ્યો હતો. ત્યારે પાવાગઢ પહેલા ગબડીયા હનુમાનજી મંદિર બહાર જ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે કાર દિશા બદલી હાલોલ તરફની થઈ ગઈ હતી, ઘટનાની જાણ મહંતના ભક્ત અને અનુયાયીઓને થતાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ટોળા એકત્ર થયા હતા. તેઓના ગોધરા સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ આપવા નીકળેલા મહંત પોતે આમંત્રણ મહાકાળી મંદિર સુધી પહોચાડી ન શક્યા. હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આજુબાજુના અનેક મંદિરોના સંતો-મહંતો દોડી આવ્યા હતા.

Related Posts