અમરેલી

પીઠવાજાળના ૮૨ વર્ષીય પરષોત્તમભાઈ કોરોના સામે જીત્યા. ઘર પરિવારની જેમ ડોક્ટરો અને નર્સ સ્ટાફે સંભાળ રાખી : પરષોત્તમભાઈના પુત્ર ગોવિંદભાઈ

હાલ સમગ્ર રાજ્યમાં જયારે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે મોટી ઉંમરના વડીલો માટે અત્યંત જોખમી હોવાથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં વડીલો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અમરેલીના પીઠવાજાળના ૮૨ વર્ષીય પરષોત્તમભાઇ પોપટભાઈ દેસાઈ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ તેમની હિંમત અને તબીબોના સારવાર થકી તેઓએ કોરોનાને હરાવ્યો છે.

પરષોત્તમભાઈના પુત્ર ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે પિતાને બે દિવસ તાવ, શરદી જેવા લક્ષણો જણાતા તાત્કાલિક રિપોર્ટ કરાવ્યો હતો અને એમાં ૫૬.૪ જેટલું સંક્રમણ હતું પણ ઓક્સિજન લેવલ મેન્ટેન રહેતા પહેલા ઘરે જ સારવાર કરી હતી. પરંતુ ઓક્સિજન લેવલ થોડું નીચે જતા અમે તાત્કાલિક નર્સિંગ કોલેજ ખાતે શરુ કરવામાં આવેલી ડેઝિગ્નેટેડ કોવીડ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.

હોસ્પિટલના સ્ટાફની સરાહના કરતા ગોવિંદભાઈએ કહ્યું કે, ઘર પરિવારની જેમ ડોક્ટરો અને નર્સ સ્ટાફે સંભાળ રાખી હતી. દરરોજની સ્થિતિની જાણકારી મળતી. પરષોત્તમભાઈની સંપૂર્ણ સારવાર હોસ્પિટલના તમામ તબીબો તેમજ નર્સિંગ સ્ટાફના સહકારથી કોરોનામુકત કરવા સફળતા મળી છે.

અમરેલી નર્સિંગ કોલેજ ખાતે શરુ કરવામાં આવેલી ડેઝિગ્નેટેડ કોવીડ હોસ્પિટલના રેસિડેન્ટ ડો. નિલેશ દેથલીયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવ્યાં ત્યારે પરષોત્તમભાઈને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ તેમનું ઓક્સિજન લેવલ પણ ઘણું નીચું રહેતું એટલે એમને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ ઘણા દિવસ બાદ તબીયતમાં સુધારો થતા આજે એમને રજા આપી હતી. અન્ય ગંભીર રોગોમાં તેમજ કોરોનાના ક્રિટીકલ કેસોમાં હોસ્પિટલમાં સારવાર આપી અનેક દર્દીઓના જીવન બચાવી શકાયા છે.

Related Posts