અમરેલી

પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સત્વરે નિર્ણય કરવા રજુઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદન કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને અસરકારક રજુઆત કરેલ છે. સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ હાલમાં સૌરાષ્ટ્રમાં ડુંગળીનો પાક નીકળવાનો શરૂ છે. જે પૈકી સફેદ કાંદાનું પ્રોસેસીંગ (ડીહાઈડે્રશન) અને નિકાસ થાય છે તેમજ લાલ કાંદાનો અન્ય રાજયોમાં ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

હાલ લાલ અને સફેદ ડુંગળીના ભાવ એકદમ ઘટી ગયેલ છે. જેના લીધે સૌરાષ્ટ્રના ખેડુતો ખુબ જ મુશ્કેલીમાં મુકાયેલ છે. વર્તમાનમાં ખેડુતોને ડુંગળીમાં સરેરાશ પ્રતિ ર૦ કિલો રૂા. રર૦ (બારદાન, ભાડા સાથે યાર્ડનો ભાવ) જેવી પડતર થાય છે, પરંતુ ખેડુતોને તેના ભાવો રૂા. ૧૪૦ થી રૂા. ર૦૦ સુધી જ મળી રહયા છે અને સરેરાશ રૂા. ૧૬૦ થી રૂા. ૧૬પ માં વેચાણ થઈ રહેલ છે. જેથી ખેડુતોને વીઘા દીઠ અંદાજીત ૧૦ થી ૧પ હજાર સુધીનુ નુકશાન થઈ રહયુ છે. તેથી ડુંગળી ઉત્પાદન કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સૌરાષ્ટ્રના કાંદા રેલ્વે મારફત વધુમાં વધુ નિકાસ થાય તે માટે પુરતા અને ઝડપી વેગનોની ફાળવણી થાય તેમજ રેલ્વે ભાડામાં સબસીડી આપવામાં આવે તો ખેડુતોને વધારે ભાવ મળી શકે તેમ છે.

તેમજ સૌરાષ્ટ્રના લાલ તથા સફેદ કાંદાની અન્ય રાજયમાં વધુ નિકાસ થાય તે માટે નિકાસમાં પણ સબસીડી ફાળવવામાં આવે તો કાંદાની નિકાસ થવાથી ભાવો જળવાય રહે અને ખેડુતોને તેનો ફાયદો થાય. તેમજ ફેબ્રુઆરી થી એપ્રિલ દરમ્યાન આવતા કાંદા ૧પ દિવસથી વધુ રોકી શકાતા ન હોવાથી ખેડુતોને બજાર ભાવે વેચી દેવા પડે છે. જો કાંદાની નિકાસ માટે સરકારશ્રી તરફથી પ્રોત્સાહન આપવામાં આવે તો તેનો સીધો લાભ ખેડુતોને મળે તેમ છે. તેથી સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદન કરતા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સત્વરે યોગ્ય નિર્ણય કરવા બાબતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સરકારશ્રીમાં રજુઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts