દેશમાં પ્રદુષણ નિયંત્રણ અર્થે સ્વદેશી બળતણ બાયોડીઝલની ઉપયોગીતાના પ્રોત્સાહન અર્થે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવી પોતાના વિચારો રજુ કર્યા હતા.
લોકસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન સાંસદ શ્રી કાછડિયા એ જણાવેલ હતું કે, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ વાળી સરકાર દ્વારા દેશમાં સ્વદેશી બળતણ એટલે કે બાયોડીઝલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. બાયોડીઝલનો ઉપયોગ જમીન, હવા અને પાણીના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેનાથી સ્વસ્થ વાતાવરણ જાળવી શકાય છે અને જાહેર આરોગ્યનું રક્ષણ પણ થાય છે. તદુપરાંત બાયોડીઝલનું ઉત્પાદન એ નવી રોજગારીની તકો પૂરી પાડીને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક વિકાસને વેગ આપી શકે છે.
સાંસદશ્રી એ દેશમાં બાયોડીઝલના ઉત્પાદન અને વપરાશને લગતી કેટલીક સમસ્યાઓથી વાકેફ કરતા જણાવેલ હતું કે, બાયોડીઝલનું ઉત્પાદન અનેક ગ્રેડમાં થાય છે અને દરેક ગ્રેડની કિંમત અલગ-અલગ હોય છે. પરંતુ જ્યારે OMC કંપનીઓ બાયોડીઝલ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડે છે ત્યારે તેઓ સૌથી નીચા ગ્રેડના ભાવ રાખે છે. જેના કારણે બાયોડીઝલના ઉત્પાદકોને નુકસાન વેઠવું પડે છે. જેથી બાયોડીઝલનું ઉત્પાદન ધીમું પડી રહ્યું છે અને તેના કારણે નવા રોકાણકારો આ ક્ષેત્રમાં રોકાણ કરી શકતા નથી. તેથી ટેન્ડરમાં બાયોડીઝલના ગ્રેડ મુજબ દરો નક્કી કરવામાં આવે જેથી બાયોડીઝલ ઉત્પાદકો આ ક્ષેત્રમાં રોકાણ કરી શકે અને તેઓને આર્થિક નુકશાન ભોગવવું ન પડે.
ગેર મિશ્રિત ડીઝલના વેચાણ પર પ્રતિ લીટર ૦૨ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પેનલ્ટીની જોગવાઈ છે, પરંતુ મંત્રાલય દ્વારા તેના અમલમાં વિલંબ થઇ રહ્યો છે. જો આ ડ્યુટીને દંડ તરીકે લાગુ કરવામાં આવે તો OMC કંપનીઓ તેમજ ખાનગી કંપનીઓને બાયોડીઝલ ખરીદવું જરૂરી બનશે અને તેનાથી દેશમાં બાયોડીઝલને સ્વદેશી બળતણ તરીકે પ્રોત્સાહન મળશે અને સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫ ટકા બાયોડીઝલનું સમ્મીશ્રણ કરવાનો નિર્ધારિત લક્ષ્યાંક પણ પ્રાપ્ત થશે તેમ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવી યોગ્ય કરવા રજૂઆત કરેલ છે.
Recent Comments