દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ. ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૨૧-૨૪ વર્ષની વય ધરાવતા, ફૂલ ટાઇમ નોકરી કે અભ્યાસ કરતા હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ૧૨ માસ માટે દેશની ટોચની ૫૦૦ કંપનીમાં વિનામૂલ્યે ઇન્ટર્નશીપનો લાભ મળી શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં www.pminternship.mca.gov.in પર ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી તેમાં અરજી કરવી. આધાર નંબર સાથે લીંક ધરાવતા મોબાઇલ નંબર, આધાર નંબર સાથે સીડ કરાવેલા એકાઉન્ટની વિગતો આ અરજીમાં જોડવાની રહેશે. અરજી કરતા સમયે આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રાખવા.
મહત્વનું છે કે, યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ઉમેદવારના પરિવારની કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ તેમજ પરિવારની વાર્ષિક આવક મર્યાદા ૦૮ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ યોજનામાં પસંદ થતા ઉમેદવારોને ૧૨ મહિના સુધી અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળે છે. ઇન્ટર્નને, કેન્દ્ર સરકાર દ્વારા માસિક રુ.૪૫૦૦ અને કંપની દ્વારા રુ.૫૦૦ની રકમ ચૂકવવામાં આવશે. એક વખત માટે રુ.૬૦૦૦નું આકસ્મિક અનુદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. દરેક ઇન્ટર્ન માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સરક્ષાવીમા હેઠળ વીમા કવચ આપવામાં આવે છે.વધુ વિગતો માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડનો રુબરુ અથવા ટેલિફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments