ગુજરાત

બનાસકાંઠામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરને કારણે વધું એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. લાખણીના ધુણસોલ ગામે રખડતા ઢોરે એક ખેડૂતનો જીવ લીધો છે. ધુણસોલ ગામના ૪૮ વર્ષીય ખેડૂત ઈશ્વરભાઈ ચૌહાણ પોતાના ખેતરેથી બાઈક લઈ ધુણસોલ આથળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક આખલાએ અડફેટે લીધા હતા. આ દરમિયાન આખલાનું શિંગડું ખેડૂતના છાતીના ભાગે વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજતા પંથકમાં ચકચાર મચી છે. જાેકે અવારનવાર રખડતા ઢોરોને કારણે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે ત્યારે રખડતા ઢોરને કારણે વધુ એક મોત નીપજતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તો બીજી તરફ આવા રખડતા ઢોરના કારણે કોઈ નવો પરિવાર ના તૂટે જેને લઈને સરકાર કંઈક પગલાં ભરે તેવી પરિવારની માંગ છે. સાથે સાથે પરિવારના મોભીનું મોત નિપજતા સરકાર મૃતકના પરિવારને સહાય કરે તેવી પણ માગ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે રખડતા ઢોર મામલે અનેકવાર કાયદા બનાવવા સરકાર સમક્ષ માંગ કરાય છે તેમ છતાં સરકાર દ્વારા રખડતા ઢોર ઉપર કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ અંગે પરિવારનું કહ્યું છે કે, રખડતા ઢોરને કારણે પરિવારના મોભીનું મોત નિપજતા પરિવારને સહાય મળવી જાેઈએ.

Follow Me:

Related Posts