મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા શ્રી વીરાબાપાના આશ્રમ દેવ દ્વારકાધિશ ધામ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આશ્રમની મુલાકાત કરી દર્શન કર્યા હતા. આશ્રમના ગાદીપતિ પૂ.હીપા બાપુ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પરંપરાગત અને ભાતીગળ રીતે પાઘડી પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, સામાન્ય અને છેવાડાના નાગરિકોની અવિરત જનસેવા કરતા રહીએ તેવા આશીર્વાદ આપતા રહેજો. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, જન કલ્યાણ માટે જ્યાં ભગવાન પહોંચી શકતા નથી ત્યાં પ્રભુ પૂ.શ્રી વીરાબાપા જેવા સંતોને મોકલે છે. આ સંતોની ભૂમિ અને રાયપર ગામના વિકાસ માટે રાજ્ય સરકારના સહયોગની આવશ્યકતા હોય તો અવશ્ય ધ્યાન ઉપર મૂકજો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પ્રજાલક્ષી અને વિકાસ કાર્યોને વેગ આપી રહી છે. ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવનાર એક પણ લાભાર્થી યોજનાકીય લાભથી વંચિત ના રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજય સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ અંતમાં જણાવ્યુ હતુ.
કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, પૂર્વ ધારાસભ્યશ્રી ડૉ. ભરત બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઇ વેકરીયા, અગ્રણી શ્રી મહેશભાઇ કસવાળા, પ્રતિનિધીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ગ્રામજનો અને આજુ-બાજુના વિસ્તારના નાગરિકો સહિતના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments