લાઠીના વતની, અમરેલી વસતાં બી.એસ.એન.એલ.ના રિટાયર્ડ એમ્પ્લોય આશાબેન જયંતિલાલ દવે ભગવાન નાગનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા ધરાવતાં વૈજ્ઞાનિક અભિગમમાં માનનારા જાગૃત નાગરિક છે. અમરેલી જીલ્લાના સુવિખ્યાત મહિલા મંડળ તેજસ્વિની વુમન્સ ક્લબના સેવાભાવી સંચાલક, યશોદા વુમન્સ ક્લબના સંયોજક, કલાપી ગૃપ ઓફ લાઠીના મેમ્બર, સપ્તક મ્યુઝિકલ ગૃપના પ્રેસિડેન્ટ તેમજ બી.એસ.એન.એલ. યુનિયનના સેક્રેટરી તરીકે માનદ્ સેવા આપી રહ્યાં છે. તેઓએ સ્ત્રીઓમાં આઈ ડોનેશન, સ્કીન ડોનેશન, ઓર્ગન ડોનેશન તેમજ બોડી ડોનેશન બાબતે જાગૃતિ આવે તે હેતુસર પોતાના ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કર્યો.
આશાબહેને ચક્ષુદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરતાં માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ અમરેલીના પ્રમુખ વિપુલ ભટ્ટીને નેત્રદાનનું સંકલ્પ પત્ર ભરી સુપરત કર્યુ હતું તેમજ અમરેલીના સિનિયર ડૉ. એસ.આર.દવે સાહેબના માર્ગદર્શન મુજબ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ડિસ્ટ્રીક્ટ બ્રાંચ ખાતે દેહદાનનું ફોર્મ ભર્યુ હતું.
જીવનની અનિશ્ચિતતા વિશે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, “ન કરે નારાયણ અને કોઈ અણધાર્યો અકસ્માત થાય અને હું બ્રેઈન ડેડ થાવ તો જરૂરિયાતમંદ દર્દીઓને મારાં તમામ ઓર્ગન ડોનેશન કરવા” એમ જણાવતાં માનવતા મહેકાવી હતી.
સોશિયલ એક્ટિવિટીમાં અગ્રેસર મહિલાઓને “તેજસ્વિની” તરીકે પ્લેટફોર્મ પુરું પાડતાં આશા દવે સપ્તક મ્યુઝિકલ ગૃપના માધ્યમથી જીલ્લાના કલાપ્રિય લોકો માટે એકલપંડે વિવિધતા સભર કાર્યક્રમોના આયોજનો કરે છે.
નિવૃત્તિમાં પ્રવૃત્તિનો આનંદ માણતાં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા આશાબેનને આશા છે કે તેમનાં આ નિર્ણયથી મહિલાઓને મૃત્યુ બાદ ચક્ષુદાન-દેહદાનમાં જરૂર પ્રેરણા મળશે. સંવેદન ગૃપના ટ્રસ્ટી ધર્મેન્દ્ર લલાડિયાએ આશાબેનને મૃત્યુ બાદ ચક્ષુદાન તેમજ દેહદાનના અનુકરણીય નિર્ણય બદલ ધન્યવાદ પાઠવ્યા હતાં.
Recent Comments