આગામી તા૧૩/૧૧/૨૦૨૩ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પ્રમુખવાટિકા, અમરેલી ખાતે મહાઅન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભગવાનશ્રી સ્વામિનારાયણ તથા હિંદુ સનાતન ધર્મના અવતારો સમક્ષ ૧૦૦૦ જેટલી વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવનાર છે.
આ ઉત્સવને સફળ બનાવવા અમરેલી મંદિરના સંત નિર્દેશક પૂ.સાધુચરિતસ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાના કુલ-૩૦ વિભાગો કાર્યરત કરવામાં આવેલ છે. જુદા જુદા વિભાગોમાં હરિભકતો સેવામાં જોડાયા છે. હાલ વેકેશનની શરૂઆત થઈ રહી હોય ત્યારે વેકેશનના સમયનો સદુપયોગ કરીને બાલ—બાલીકા, યુવકયુવતીઓ મોટી સંખ્યામાં સેવામાં જોડાયા છે.અમરેલી શહેરની બહાર વસતા યુવકો આ મહાઅન્નકૂટની સેવા માટે આવી પહોંચ્યા છે. મંદિર પરિસરમાં હિન્દુ ધર્મના આદર્શ ભકતોના કલાત્મક ફલોટ તૈયાર કરવાની કાર્યવાહી યુવક મંડળ દ્વારા થઈ રહી છે.
આ અંગે અમરેલી શહેરના તમામ જ્ઞાતિ–સંગઠનોની મીટીંગ યોજી અન્નકૂટ ઉત્સવના દર્શને પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તદ્ ઉપરાંત અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુમાં વધુ લોકો આ મહાઅન્નકૂટ ઉત્સવના દર્શને પધારે તે માટે ડોર–ટુ–ડોર નિમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે. તેમજ અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા શહેર શ્રેષ્ઠીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ મહાઅન્નકૂટ ઉત્સવને સફળ બનાવવા પૂ.વિનયજીવન સ્વામી, પૂ.યોગવીર સ્વામી તથા પૂ.દિવ્યવિગ્રહ સ્વામી સાથે જુદા જુદા સેવા વિભાગોમાં હરિભકતો દિવસ-રાત સેવા આપી રહ્યા છે. આ મહાઅન્નકૂટમાં પધારનાર દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને વધુમાં વધુ ધર્મપ્રેમી જનતા લાભ લઈ શકે તે માટેની જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી રહે છે. આમ, અમરેલી જિલ્લામાં યોજાતા આ ભવ્ય મહાઅન્નકૂટ ઉત્સવ માટે જબરો લોકજુવાળ જોવા મળી રહ્યો છે.
Recent Comments