ફરીથી ગટરમાં સફાઇ કરવા ઉતરેલા કામદારોના કરૂણ મોત નીપજ્યા છે. ભરૂચ અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન સાફ કરવા ઉતરેલા ચાર સફાઈ કામદારોમાંથી ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના ડીવાયએસપી પણ ધટના સ્થળે પહોંચ્યા છે. આ કરૂણ ઘટના દહેજ ગ્રામ પંચાયતની હદમાં બની છે. સફાઈ માટે એકબીજાનો હાથ પકડી ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના મોતથી હોબાળો મચી ગયો છે. બનાવની જાણ થતા ફાયર ફાઈટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાટરની ટીમે સ્થાનિકોની મદદથી ગટરમાંથી ચાર લોકોને બહાર કાઢ્યા હતા. કેટકેટલી જહેમત બાદ પણ ત્રણ સફાઇ કામદારોના જીવ બચાવી શકાયા ન હતા. આ કામદારોના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ ડીવાયએસપી તથા સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી હતી. ગટરમાં સફાઇ કરવા ઉરતા કામદારોનો મુદ્દો વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો.
ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરતા કામદારોના મોત બાદ તેમના પરિવારને કેટલી સહાય આપવામાં આવે છે. આ અંગેનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કર્યો હતો. તેમના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧ સફાઈ કામદારના મોત નિપજ્યા છે. જેમાં હજુ ૫ પરિવારને સહાય આપવામાં આવી છે અને હજુ ૬ સફાઈ કામદારના પરિવારને સહાય આપવાની બાકી છે. ઈમરાન ખેડાવાલાના સવાલનો લેખિતમાં જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ સુધીમાં ૭ સફાઈ કામદારોના મોત નિપજ્યા છે. જેમાંથી પાંચ પરિવારના સભ્યોને ૫૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જેમાં વ્યક્તિ દીઠ ૧૦ લાખ રૂપિયાની સહાય કરી છે.
Recent Comments