સમગ્ર રાજયમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે ખેડૂત, ખેતી બચાવો અભિયાન અન્વયે રાજય વ્યાપી ધરણાં, રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહયા હતા અને ખેડૂતો વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેતી, ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓના કારણે આજ કૃષિ અને ઋષિનું રાજય એવા ગુજરાતમાં ગરીબ, ગામડા અને ખેડૂત જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહયા છે. રાજયમાં મોંઘા ખાતર, બિયારણ, દવા તેમજ ખેતીના ઓજારો સતત મોંઘા થયા છે. ખેડૂતોની આવક અડધી થઈ છે. ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ બમણો થયો છે, અને પરિણામે ખેડૂતો ચાર ગણાં દેવાના બોજ નીચે દબાયો છે અને વ્યાજંકવાદીઓની જાળમાં ફસાયો છે. સરકારી તંત્રની મીઠી નજર તળે જમીન માફીયાઓ જનેતા સમાન જમીન પણ ઝૂંટવી જાય છે. હવે જગતનો તાત જીવન જીવવાની આશ હારીને કયાંક આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહયો છે.ભાજપના રાજમાં સમગ્ર દેશની સરખામણીએ ખેડૂતને ખેતરમાં સસ્તી, પૂરતી અને નિયમિત વીજળી મળતી નથી. સૌથી મોંઘી વીજળીનો ભાર ગુજરાતના ખેડૂતો ઉપર શું કામ ? એવો સવાલ ધાનાણીએ કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, સરકારની નિષ્ફળતાના કારણે રાજયમાં લાખો કરોડો લીટર વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. સિંચાઈ યજનાઓના અભાવે અને કયાંક સિંચાઈની યોજનાઓમાં કેનાલોના અભાવે ખેડૂતના ખેતરમાં ઉભો પાક શું કામ મૂરઝાય છે. વરસાદી પાણી દરિયામાં શું કામ વહી જાય છે. એ ગુજરાતનો ખેડૂત સવાલ પૂછે છે. ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકતી ભાજપ સરકારે ખેડૂતોની ઉપજ ઉપર સમગ્ર દેશમાં પાંચ ટકા વેટ નાખીને કાળો કર નાખ્યો છે. આમાંથી મુકિત માટે ગુજરાતનો ખેડૂત અવાજ ઉઠાવશે. ખેડૂતોની હદ નિશાન માપણી માટે કયાંય હવામાં ઉડીને સેટેલાઈટના માઘ્યમથી શેઢાઓ માપવામાં આવ્યા અને એમાં વિસંગતતાના કારણે ગુજરાતના લાખો ખેડૂતો કે શેઢાની તકરાર વધી છે. માના જણ્યા બે ભાઈઓ વચ્ચે પણ વર્ષો સુધી વિવાદ થાય ન્યાય મેળવવામાં બે-બે વિઘા બાપ-દાદાની વારસાઈ જમીનો વેચાઈ જાય છે. આવી કટોકટી ભાજપના રાજમાં પેદા થઈ છે.
વધુમાં જણાવ્યું હતું કે, 90 હજાર કરોડ કરતાં વધુના દેવા સાથે ગુજરાતમાં જગતનો તાતજીવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે વ્યાજંકવાદીઓની જાળમાંથી ખેડૂતોને મુકત કરાવવા તેઓના સંપૂર્ણ દેવા સરકારે માફ કરવા જોઈએ પરંતુ, ખેડૂત વિરોધી ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના બદલે એના મુઠ્ઠીભર મળતીયા ઉદ્યોગપતિઓને વિતેલા સાત વર્ષમાં સાડા પાંચ લાખ કરોડ કરતા વધુ લોનો માફ કરવામાં આવી છે. ત્યારે આ ગાંધી અને સરદારનું વારસ એવા ગુજરાતની અંદર પહેલી આઝાદીની લડાઈમાં આ દક્ષિણ ગુજરાતે આગેવાની લીધી હતી કે, બારડોલી સત્યાગ્રહે સમગ્ર દેશમાં ખેડૂતોના સ્વાભિમાનને જગાડવા માટે સફળતા મેળવી હતી અને આવતા દિવસોમાં ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી ભાજપની સરકારને જળમૂળથી ઉખેડી ફેંકવા ગાંધીનગરમાં ત્રિરંગો લહેરાવવા ખેતી, ખેડૂત, ખેતમજદૂરોના અધિકારોના રક્ષણ માટે પરિવર્તન યાત્રાનો પાયો આજ ઓલપાડના પાદરમાં નંખાયો છે ત્યારે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ગરીબ, ગામડા અને ખેતમજદૂર લેશે. આ ગરીબ ગામડા અને ખેતમજદૂર વિરોધી ભાજપની સરકારને જળમૂળમાંથી ઉખેડી ફેંકશે અને આગામી ચૂંટણીઓમાં કમળને કચડીને પોતાના હાથને મજબૂત કરી સતા નહીં પણ સ્વાભિમાનની યાત્રાને આગળ ધપાવશે તેવો વિશ્વાસ પરેશ ધાનાણીએ વ્યકત કર્યો હતો.
Recent Comments