ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, સૌરાષ્ટ્રનાં લગભગ તમામ જિલ્લાઓમાં અધિકથી અત્યાધિક વરસાદનાં કારણે મોટાભાગનાં જિલ્લાઓમાં ખૂબ નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયેલ, રસ્તાઓનું ધોવાણ થયેલ, કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડેલ, નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ, ખેડૂતોનાં ખાતર-બિયારણ નિષ્ફળ ગયેલ હોઈ લીલા દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામેલ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી જતાં લોકોના ઘરવખરી તથા માલસામાનને નુકસાન થયેલ હોઈ મોટું આર્થિક નુકસાન થવા પામેલ. ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકસાન, લોકોના ઘરવખરી, માલસામાન અંગે તાત્કાલિક સર્વે કરાવી, ખરેખર થયેલ નુકસાનનું 100% વળતર મળે તથા માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની સહાયતાત્કાલિક ચુકવાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવા અગાઉ પણ રજૂઆત કરેલ.
રાજયનાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ઘ્વારા તાજેતરમાં ખરીફ-ર0ર1માં સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. સદર પેકેજમાં જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર એમ માત્ર ચાર જ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવેલ છે કે, સરકાર ઘ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં ફકત ચાર જ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ચાર જિલ્લાઓમાં રેકર્ડ આધારિત 100% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે તેવી જ રીતે અન્ય જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં પણ 100% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે તેવા જિલ્લા અને તાલુકાઓને રાહત પેકેજથી વંચિત રાખવામાં આવેલ છે. આવો ભેદભાવ સરકાર કેમ રાખી રહી છે ? સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં પેકેજ જાહેર નથી થયું તેનો સર્વે કરવામાં આવે તો ત્યાં પણ મગફળી, કપાસ, કઠોળ, તલ, શાકભાજી વગેરે ખેતી પાકોને વરસાદનાં કારણે ભારે નુકસાન થવા પામેલ છે અને જમીનનું પણ મોટાપાયે ધોવાણ થયેલ છે.
વધુમાં જણાવેલ છે કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વીજળીની ખૂબ જ તંગી છે. અવારનવાર વીજકામ કરવામાં આવે છે. ખેડૂતો અન્ય પાકોનુંવાવેતર પુરતી વીજળીનાં અભાવે કરી શકતા નથી અને વાવેતર કરેલ હોય તો વીજળીનાં અભાવે સિંચાઈ કરી શકતા નથી. તૌકતે વાવાઝોડા બાદ હાલની સ્થિતિએ પણ ખેતી વિષયક વીજ પુરવઠો 100% પુનઃસ્થાપિત કરી શકાયો નથી, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુમાં જણાવેલ છે કે, સરકાર ઘ્વારા તા. 18/10/ર1નાં ઠરાવથી રાજયના ફકત ચાર જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે જેના કારણે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લા અને તાલુકાઓને અન્યાય થવા પામેલ છે. સરકારની આવી ભેદભાવભરી નીતિના કારણે સરકાર ઘ્વારા મળવાપાત્ર સહાયથી સાચા અસરગ્રસ્તો વંચિત રહી જશે. રાજય સરકારે આ અંગે સમગ્ર રાજયમાં વરસાદથી થયેલ નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી, ચાર જિલ્લા ઉપરાંત જે પણ તાલુકા અને જિલ્લામાં વરસાદના કારણે નુકસાની થઈ છે તેનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી સાચા અસરગ્રસ્તોને સહાય પુરી પાડવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments