ભાવનગર

ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત

મુખ્યમંત્રીશ્રીએ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળીને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી

…..

ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન શ્રી અલ્પેશભાઇ ઢોલરીયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. 

આ રજુઆતમાં મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી પણ દર્શાવી હતી.

ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા રાજ્ય સરકારે અગાઉ પણ સહાયની જાહેરાત કરી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી એપીએમસીના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે.

ખેડુતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મક પ્રતિભાવ આપેલ, જે માટે આગેવાનોએ અને ધારાસભ્યશ્રીઓએ માન મુખ્યમંત્રીશ્રીનો આભાર માનેલ છે

Related Posts