ભાવનગર

ભાવનગર ખાતે મતદાર સાક્ષરતા કલબ્સ અંગે વર્કશોપ યોજાયો

ભાવનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં આવનાર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર સાક્ષરતા કલબ્સ અંગેનો સેમિનાર સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી હોલમાં યોજાયો હતો.

જિલ્લાના ચૂંટણી અંગેના નવાં કાયદાઓ, સુધારાઓ અને નવી માર્ગદર્શિકાઓ અંગે માર્ગદર્શન મળી રહે એ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં ઉપસ્થિત મતદાર સાક્ષરતા કલબ સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓને માર્ગદર્શન આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ચૂંટણીને કારણે લોકશાહી જીવંત અને જાગૃત રહે છે.

તેમણે કહ્યું કે, લોકશાહીને બળવત્તર બનાવવાં માટે ૧ ઓક્ટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક વ્યક્તિઓ તેમની નોંધણી કરાવી દે તે સ્વસ્થ લોકશાહી માટે જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, મતદાનનો અધિકાર એ લોકશાહીએ આપેલો મહત્વનો અધિકાર છે. એક વોટથી ચૂંટણીનું પરિણામ બદલાઇ જતું હોય છે. કહેુવાનો મતલબ એ છે કે, ચૂંટણીમાં એક-એક મત અમૂલ્ય છે. ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર એક પણ વિદ્યાર્થી તેમની મતદાર તરીકે નોંધણી  કરાવી દે તે જરૂરી છે.

શાળા કોલેજના આજના વિદ્યાર્થીઓ ટેક્નોસેવી છે. મતદાન નોંધણી માટે તમે ઓનલાઇન નોંઘણી પણ ઘણી સરળતાથી કરાવી શકો છો તેમ જણાવી તેમણે કેમ્પસ એમ્બેસેડરને તેમની કોલેજ તથા આસપાસમાં રહેતાં પડોશી, સ્વજનોને પણ આ માટે સમજણ આપવાં માટે પ્રેરિત કરવાં અનુરોધ કર્યો હતો.

તેમણે મતદાર શુધ્ધિકરણ (પ્યુરીફિકેશન) અંગે જણાવ્યું કે,  જે લોકોના મૃત્યુ થયાં છે. લગ્ન કરીને બીજા ઘરે ગઇ છે તેવી કન્યાઓ કે સ્થળાંતરથી અન્ય જગ્યાએ ગયેલાં લોકો તેમના નામ કમી કરાવવાનું કે નવી જગ્યાએ ઉમેરવાનું ભૂલે નહીં તેની ખાસ કાળજી રાખવાં પર ભાર મૂક્યો હતો.

આગામી ૪ રવિવારના દિવસે બુથ લેવલ ઓફિસર બૂથ પર જ બેસીને નોંધણી કરનાર છે. આ ઉપરાંત સમયમાં સ્વીપ કાર્યક્રમ દ્વારા પણ વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની વિગતો તેમણે આપી હતી.

મતદાર સાક્ષરતા કલબ અને કેમ્પસ એમ્બેસેડરો દ્વરા કરવાની થતી કામગીરી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉપરની વયનો કોઇ પણ નાગરિક મતદાર યાદીમાં નામ નોંધાવ્યાં વગર રહી ન જાય એ માટે આપ સૌએ આપની શૈક્ષણિક સંસ્થામાં જ નહીં પરંતુ બહાર પણ જાગૃતિ આવે એવા પ્રયાસો હાથ ધરવા પડશે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારોની ભાગીદારી વધે તથા સ્થળાંતરિત મતદારો ચૂંટણી સમયે મતદાન કરવા માટે આવે એ માટે પણ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પ્રયાસો હાથ ધરવાં તેમણે જણાવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કટારાએ સેમિનારનો હેતુ સમજાવી વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વમાં જોડાય તે માટે તેમજ અધિકારીઓ નવાં કાયદા, સુધારા અને નવી વિગતો અંગે માહિતગાર થાય અને યુવા મતદારોમાં આ અંગેની જાગૃતિ આવે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.

તેમણે મતદાર સાક્ષરતા કલબ દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિગતે જાણકારી આપી આગામી સમય દરમિયાન મતદાર સાક્ષરતા કલબ દ્વારા આગામી સમયમાં કરવાની થતી સ્વીપની પ્રવૃત્તિઓ અંગે ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા કાર્યક્રમ અંગે વિગતે છણાવટ કરી હતી.

આ વર્કશોપમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી વી.એમ. રાજપૂત, તળાજા પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડા, મહુવા પ્રાંત અધિકારીશ્રી કુસુમબેન પ્રજાપતિ, પાલિતાણા પ્રાંત અધિકારીશ્રી સિધ્ધાર્થસિંહ ગઢવી, ભાવનગર પ્રાંત અધિકારીશ્રી એમ.એમ.ઝણકાટ, જિલ્લાના મામલતદારોશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ, કેમ્પસ એમ્બેસેડર્સ, મતદાર સાક્ષરતા કલબના સભ્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts