કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે બપોર બાદ ભાવનગર ખાતે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ, એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) ના ૫૫ માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
આ કેન્દ્રની સ્થાપનાથી ઉદ્યોગોને ટેકનોલોજીકલ સપોર્ટ મળશે, યુવાનોને રોજગારી મળશે અને ઉદ્યોગને કુશળ માનવબળ મળશે. જે રીતે ગતિ શક્તિનું કેન્દ્ર બેરિંગ હોય છે તે જ રીતે પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ ઉદ્યોગ માટે આ કેન્દ્ર બની રહેવાનું છે તેવો વિશ્વાસ તેમણે આ તકે વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને જણાવ્યું કે, તમે વારંવાર આ કેન્દ્રની મુલાકાત લેજો જેથી ઉદ્યોગની જરૂરિયાત મુજબ આ કેન્દ્ર મશીનરીનું નિર્માણ કરી આપી શકે અને ઉદ્યોગની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાય.
ભાવનગર આગામી દિવસોમાં રોકેટ ગતિએ વિકાસની દિશામાં જવાનું છે તેના વિશે વિસ્તૃત સમજ આપતાં તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભાવનગરના દરિયાકાંઠે સી.એન.જી. ટર્મિનલની સ્થાપના મફતલાલ ગૃપ દ્વારા થવાં જઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જાહેર કરેલી રિસાયક્લિંગ પોલિસી અંતર્ગત રિસાયક્લિંગ યાર્ડ ભાવનગરના અલંગ ખાતે તૈયાર થવાનું છે.
આ વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગર થી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, દેશનો માલસામાન લઈ જતાં કન્ટેનર પર ભાવનગર લખેલું હોય અને મેડ ઈન ઈન્ડિયા લખેલું જહાજ આખી દુનિયામાં આ કન્ટેઇનરને માલસમાન લઇને ફરે અને વિશ્વનો કોઈપણ વ્યક્તિ વાંચે તો તેને ખબર પડે કે આ ભાવનગરમાં નિર્માણ થયેલું કન્ટેનર છે તેઓ વિકાસ આપણે કરવો છે.
ભાવનગરનો વિકાસ વધુ વેગવંતો બને તે માટે થોડાં સમય પહેલાં ભાવનગરમાં કન્ટેનર નિર્માણની સવલતો પણ ઉભી કરવામાં આવી છે. દર વર્ષે દેશમાં ત્રણ લાખ કંન્ટેઇનરની જરૂરિયાત પડે છે. જેનું વ્યવસાયિક ઉત્પાદન થતું નથી ત્યારે ભાવનગર પાસે અલંગ અને રિસાયક્લિંગ યાર્ડના કારણે લોખંડ મળવાની વ્યાપક શક્યતાઓ છે. તેને ધ્યાનમાં લઈને ભાવનગર ખાતે જ કંન્ટેઇનર બનાવવાનો ઉદ્યોગ વિશે તે માટે તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભાવનગર કન્ટેનઇનર નિર્માણનું કેન્દ્ર બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું કે, ભાવનગરમાં કશું નથી.. કશું છે નહીં… એવી ભાવનાને વ્યર્થ બનાવી ભાવનગરને વિકસિત કરવું છે, વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવું છે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સીપેટ વિશે તેમણે જણાવ્યું કે, તે પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના તાલીમ આપવાનું કાર્યફ કરે છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની અપેક્ષા એટલાં માટે હતી કે જેથી તેઓ એકબીજાની જરૂરિયાત સમજી શકે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે તાલીમ અને અભ્યાસક્રમનું નિર્માણ કરી શકાય.
આજે નાનું કેન્દ્ર ખોલી રહ્યાં છીએ એમ જણાવી તેમણે કહ્યું કે, આ કેન્દ્ર આવતીકાલે મોટી ઇન્સ્ટિટયૂટ બનશે. આજે બીજ વાવ્યું છે. તે વડલો ચોક્કસ બનશે છે એવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.
કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ દેશમાં ૧૦ ટકાના દરે વિકસી રહ્યો છે, ત્યારે તેને સ્કિલ્ડ વર્કરની જરૂર પડવાની છે. ભાવનગરનો જે વિકાસ થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
ભાવનગરના અલંગ પાસેથી જહાજોના રીસાઇક્લીંગમાંથી લોખંડ પ્રાપ્ત થાય છે, સિહોરમાં ફર્નેસ ઉદ્યોગ વિકસ્યો છે ત્યારે અહીંયા નિર્મિત રિસાયક્લીંગ યાર્ડથી વધુ લોખંડની આપૂર્તિ થઈ શકશે. ભાવનગર ખાતે જી.આઇ.ડી.સી. પણ આકાર બની રહી છે તેમાં પણ તાલીમ સંસ્થાની જગ્યા રાખવામાં આવી છે.
આ રીતે ભવિષ્યની જરૂરિયાતોને પારખીને ઉદ્યોગને સાનુકૂળ માનવબળ મળે અને તાલીમબદ્ધ કર્મચારીઓ મળે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની ભૂમિકા આપીને તેમણે કહ્યું કે, સીપેટમાંથી પાસ થનાર તમામ લોકોને રોજગારી મળી જાય છે તેનું કારણ એ છે કે, સીપેટ દ્વારા ઉદ્યોગની જરૂરિયાતને પારખીને તેના અભ્યાસક્રમો વિકસિત કરવામાં આવે છે.
સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળએ જણાવ્યું કે, યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય દિશા આપીને કુશળ બનાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. આ માટે વડાપ્રધાનશ્રીએ કુશળતા મંત્રાલયની પણ સ્થાપના કરી છે. રાષ્ટ્રનિર્માણ અને ઘડતરની દિશા યુવાનો જ નક્કી કરી શકશે તેથી યુવાનોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડતર કરવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં પ્લાસ્ટિકનો ઉદ્યોગ એ ખૂબ જૂનો અને પુરાણો ઉદ્યોગ છે. આ કેન્દ્ર બનવાથી તેને વેગ મળશે. ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કૌશલ્યવર્ધન કેન્દ્રો, ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો, મહિલાઓના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે અને તે દ્વારા તાલીમબદ્ધ યુવા તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
કેન્દ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર સચિવશ્રી આરતી આહૂજાએ કહ્યું કે, ગુજરાતમાં પેટ્રો કેમિકલ્સ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે ત્યારે આ કેન્દ્ર બનવાથી તેથી તેને બળ મળશે. પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિકની તાલીમમાં હંમેશા સીપેટ અગ્રેસર રહ્યું છે.
સીપેટ ના શિશિર સિંહાએ જણાવ્યું કે, સીપેટના આવાં કેન્દ્રો કૌશલ્ય વિકાસ મહા અભિયાનમાં ખૂબ જ અગત્યના બની રહ્યાં છે.
આ વ્યાવસાયિક કેન્દ્રના લોકાર્પણ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી આર.સી. મકવાણા, મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય સર્વશ્રી ભીખાભાઇ બારૈયા, વિભાવરીબેન દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા ભા.જ.પા.ના પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, સીપેટ સંસ્થાના અધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments