ભાવનગર ખાતે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી નવાપરાં ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
આ અવસરે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ ધ્વજવંદન કરી સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે પણ જોડાયાં હતાં.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવા વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું.
તેમણે કહ્યું કે, એક ભારત – શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫- એ ની નાબૂદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમાં એક અને અખંડ ભારતનુ સ્વપ્ન મૂર્તિમંત થઈ શક્યું છે. સંસદમાં નવું ઓ.બી.સી. બીલ લાવી કરોડો લોકોના વિકાસના દ્વાર ખોલી નાખ્યાં છે.
કોરોના મહામારીમાં વડાપ્રધાનશ્રીના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ રાષ્ટ્રના વિકાસને પુન: વેગવાન બનાવવાં જાહેર કરેલા રૂ.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુન: ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયેલ છે. તાઉ’તે વાવાઝોડામાં વડાપ્રધાનશ્રીએ ગુજરાત માટે રૂા. ૧ હજાર કરોડની અને રાજ્ય સરકારે રૂા. ૫૦૦ કરોડના રાહત પેકેજની તાત્કાલિક સહાય જાહેર કરી લોકોની પડખે સરકાર ઉભી રહી છે.
તો ગુજરાત સરકારે પણ તાજેતરમાં અવિરત જનસેવાનું નવ દિવસ સુધી વિકાસની આરાધના દ્વારા અનુષ્ઠાન કર્યું હતું. આ કાર્યક્રમો અંતર્ગત રાજ્યમાં ૧૬ હજાર કાર્યક્રમ દ્વારા ૪૮ લાખ લોકોને ૧૩ હજાર કરોડનાં લાભ આપી ગુજરાતે ઇતિહાસ સર્જ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કિસાન સૂર્યોદય યોજનાથી ૪.૫૦ લાખ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી છે. સાત પગલાં ખેડૂત કલ્યાણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ કર્યું છે. નર્મદાનાં નીરથી મબલખ પાક ઉતરી રહ્યાં છે. કિસાન સન્માન નીધિ યોજના ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની છે. જેના દ્વારા રૂા. ૯૫ હજાર કરોડનો લાભ ખેડૂતોને અપાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ઓનલાઈન શિક્ષણ બાયસેગ દ્વારા આપી ૧૬ હજાર કલાસ જ્ઞાનઉર્જા પ્રોજેકટ અંતર્ગત નવાં શરૂ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓને નવાં પ્રવાહોથી અવગત કરાવવાં રૂા. ૧૦૦૦ ના સામાન્ય ખર્ચે ટેબલેટ આપવામાં આવ્યાં છે. ૮૦% લોકોને વિનામૂલ્યે અનાજ આપી ગરીબોના આશીર્વાદ મેળવ્યા છે. અનેક ગરીબોને વિના મૂલ્યે અનાજ પુરું પાડ્યું છે. ૧ લાખ કરોડની વનબંધુ યોજના ભાગ-૨ અમલી બનાવી છે. સેવા સેતુથી અનેક સેવાઓ ઘરઆંગણે પૂરી પાડી છે. આમ, આવા અનેકાનેક પગલાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવી લોકોનું જીવન સરળ બને તે માટે પ્રયાસરત છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ૧૭ લાખ રોજગાર લોકોને રોજગારી આપી છે. રોજગાર દિવસના ઉપક્રમે રાજ્યમાં એક જ દિવસમાં ૬૨ હજાર લોકોને રોજગારી આપી હતી. ૧૦,૦૦૦ મહિલાઓને શૂન્ય વ્યાજ દરે રૂા ૧ હજાર કરોડની સહાય આર્થિક સશક્તિકરણ માટે આપી છે.
મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનથી કોરોના સામે વ્યાપક લડત ચલાવી કોરોનાને હંફાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮% છે. વેકસીનેશનમાં રાજ્ય દેશમાં અગ્ર હરોળમાં છે. બેડ, સ્ટાફ વ્યવસ્થા વગેરે દ્વારા રાજ્ય કોરોનાની બંને લહેરોમાંથી સાંગોપાંગ બહાર આવી ગયું છે. ત્રીજી લહેર માટે પણ ઓક્સિજનની ૧૮૦૦ મેટ્રિક ટનની આગોતરી તૈયારી કરી રાખી છે.
રાજ્ય સરકારે કોરોના મહામારીમાં લોકોનુ સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી ધન્વંતરી રથ, ડોર ટુ ડોર સર્વેલન્સ, ઉકાળા, સંશમની વટી તથા હોમિયોપેથિક દવાઓનું બહોળા પ્રમાણમાં વિતરણ કર્યુ છે. તેમજ લોકોને ભરણપોષણ અંગેની કોઈ મુશ્કેલી ન પડે તે માટે P.M.G.K.Y., અન્નબ્રહ્મ તથા આત્મનિર્ભર યોજના હેઠળ લોકો વિનામૂલ્યે અનાજ તથા રાશન પહોંચતું કરવામાં આવ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ સરકારે શિક્ષણ, જળ સંચય, પશુપાલન, કૃષિ, માર્ગ અને મકાન, કુપોષણ નાબૂદી, પરિવહન સહિતના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી હાથ ધરી લોકસેવાની આહલેક જગાવી છે.
મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો હતો.
આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાના આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય ક્ષેત્રે રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાના કોરોના વોરિયર્સ, અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીશ્રીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી.
ધ્વજવંદન બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું. પરેડની કમાન્ડ શ્રી એસ.એચ. ખંભલે સંભાળી હતી. કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી મર્યાદિત સંખ્યામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલભાઈ રાવલે કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળિયા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, નગરપાલિકા કમિશનરશ્રી અજય દહિંયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, મદદનીશ કલેક્ટરશ્રી પુષ્પલત્તા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.ડી. ચૌધરી, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments