નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યો છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગર કલેકટરશ્રી રમેશ મેરજા દ્વારા ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઇએ ભાવનગર જિલ્લાની હદ વિસ્તારમાં જાહેરનામું બહાર પાડેલ છે.
જેમાં જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમ્યાન રાત્રીના ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ધન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી- વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોકસ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિગ હોવું જરૂરી છે.
હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી.તેમજ ઇ-કોમેર્સ વેબસાઇટસ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર જિલ્લાનાં બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસનાં સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.
આ જાહેરનામું તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Recent Comments