ફરિયાદકા શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઇ સરવૈયાની સાહિત્ય ક્ષેત્રે ત્રિવિધ સિદ્ધિ…
ભાવનગર તાલુકાની શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય અને યુવા સર્જક શ્રી પ્રવીણભાઇ સરવૈયાએ સાહિત્ય ક્ષેત્રે તાજેતરમાં ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં અખિલ હિંદ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા આયોજિત નવમી સ્મિતા પારેખ લેખન સ્પર્ધામાં બાળવાર્તા વિભાગનું રાજ્ય કક્ષાનું દ્વિતીય ઇનામ શ્રી પ્રવીણ સરવૈયાને વ્યારાનાં સાહિત્યકાર – કેળવણીકાર સુ. શ્રી દક્ષાબહેન વ્યાસના વરદ્ હસ્તે મળેલ. ત્યારબાદ તાજેતરમાં પારિજાત પરિવાર સાહિત્ય ગૃપ અમદાવાદ દ્વારા આયોજિત ‘કહેર કોરોનાનો’ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તૃતિય ઇનામ અને ‘પારિજાત એવોર્ડ’ પ્રાપ્ત થયેલ છે.
વધુમાં, ચિત્રલેખા ( સાપ્તાહિક )ના સહ્યોગથી બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ આયોજિત નિબંધ સ્પર્ધા ‘આત્મનિર્ભરતા’માં તેઓનો નિબંધ વિજેતા થયેલ છે.ઉપરાંત, ‘છાલક’ દશાબ્દિ મહોત્સવ પ્રજ્ઞેશ પટેલ લઘુકથા સ્પર્ધા – 2020 અંતર્ગત યોજાયેલ લઘુકથા સ્પર્ધામાં તેઓની ‘ જિયાણું ‘ લઘુકથા ઇનામી બનેલ. હાલમાં જ શ્રી સરવૈયાની ‘આંતરરાષ્ટ્રીય હિન્દી પરિષદ – કોલકાતા ‘ દ્વારા ગુજરાત રાજ્યના સંરક્ષક પદ પર નિયુક્તિ થયેલ છે.
શ્રી સરવૈયાની ઉપરોક્ત સિદ્ધિઓ બદલ ભાવનગર ગદ્યસભાના સંવાહક સર્વ શ્રી માય ડિયર જયુ, કન્વીનર શ્રી ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, મંત્રીઓ શ્રી નટવરભાઇ વ્યાસ અને શ્રી અજય ઓઝાએ અભિનંદન પાઠવેલ. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મયાણી સાહેબ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. મિતાબહેન દૂધરેજિયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઇ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી શ્રી પ્રવીણભાઇ સરવૈયાને બિરદાવેલ.
Recent Comments