ભાવનગર ૧૯૮૦ થી પૂજ્ય માનભાઈ ભટ્ટ, ગુરુજી શ્રી તખ્તસિંહજી પરમાર સાહેબ, કવિશ્રી વિનોદ જોશી વગેરે દ્વારા શરૂ થયેલ કાવ્યપ્રવૃત્તિ શિશુવિહાર બુધસભાની ૨૩૦૦ મી બેઠકની ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ શિશુવિહાર ખાતે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધસભાના કવિઓ, શાળા – કોલેજના વિદ્યાર્થીઓ અને ઓપન વિભાગમાં ૭૦ થી વધુ સ્પર્ધકોએ વતનપ્રેમ, રાષ્ટ્રભક્તિ, પર્યાવરણ, વીરતા, શૌર્ય, નારીશક્તિ વગેરે વિષયો પર ઉત્તમ કૃતિઓ પસંદ કરી ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી. સમગ્ર આયોજનનો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ અને નાગરિકો કાવ્ય પ્રવૃત્તિ, સાહિત્યિક કલાઓમાં રસ લેતા થાય અને ભાવક કે સર્જક તરીકે જીવનનો આનંદ પામી શકે અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના કાવ્યો દ્વારા રાષ્ટ્ર ભાવના જગાડી શકે. શ્રી હિમલ ભાઈ પંડ્યા, પરેશભાઈ ત્રિવેદી, હીના બહેન ભટ્ટ, દીપા બહેન વગેરેના નેતૃત્વ, માર્ગદર્શન અને સંકલનમાં વર્ષા બહેન જાની, છાયા બહેન પારેખ, માનસી બહેન ત્રિવેદીએ સ્પર્ધાઓનું સંચાલન કર્યું હતું. કવિઓ સર્વ શ્રી ડૉ. કિશોર વાઘેલા, નાઝિર સાવંત, ડૉ. પરેશ સોલંકી, ભરત વાઘેલા, જીજ્ઞા ત્રિવેદી, વંદના વાઘેલા, દાન વાઘેલા, વિજય રાજ્યગુરુ વગેરેએ નિર્ણાયકો તરીકે પ્રશસ્ય સેવાઓ આપી હતી. ડૉ. નાનકભાઈ ભટ્ટ , શિશુવિહારના કાર્યકર્તાઓ, બુધસભાના સંચાલકો અને સહભાગીઓના સહકારથી સમગ્ર આયોજન સફળ રહ્યું હતું.
ભાવનગર શિશુવિહાર ની કાવ્યપ્રવૃત્તિ બુધસભાની ૨૩૦૦ મી બેઠકની ઉજવણી

Recent Comments