અમરેલી

મગફળી, કેળ, મગ, શાકભાજી, બાજરી સહિતના ઉનાળુ પાક પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગેની માર્ગદર્શિકા અનુસરવી

રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ,  મગ, ડાંગર, શાકભાજી, બાજરી સહિત ઉનાળુ પાક પકવતા ખેડૂતોએ હિટવેવ દરમિયાન કાળજી લેવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસરવા અને હિટવેવ સામે સાવચેતી રાખવા પગલાંઓ ભરવા અપીલ છે.

     ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ અવારનવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં પાકનાં અવશેષો, પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન ક૨વું. બપો૨ના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિઓ ટાળવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ ક૨વી. વાવણી કરી હોય તેવા પાકોમાં આંતરખેડ તથા નિંદામણ ક૨વું. આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોઈ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરુરિયાત મુજબ પિયત આપવું.

          રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન પાક સંરક્ષણના ભલામણ મુજબ પગલા ભરવા. તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિ.લી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

      તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથિરીના નિયંત્રણ માટે પ્રોપાર્ગાઇટ ૫૭ ઇસી ૨૦ મિ.લી અથવા ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિ.લી અથવા ઇટોક્ષા સોઝેલ ૧૦ એસ સી ૮ મિ.લી અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. કેળા, દાડમ, લીંબુ, આંબાના બગીચામાં યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ના થાય તે માટે સાંજ/સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક અવશેષોનું આવરણ કરવુ, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ  એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts