અમરેલી

મગફળી, દીવેલા અને તલ જેવા પાકોની સંશોધિત જાતોની વાવણીથી ખેડૂતોને થશે ફાયદો

ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન મળી શકતું હોય તેવી નવી જાત અપનાવી ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી સીડ રિપ્લેસમે‍ન્ટ રેટ (SRR) અંતર્ગત સહાયના ધોરણે વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો આપવામાં આવે છે. જિલ્લાના તમામ વર્ગના ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય, ખેડુતો આ યોજનાનો લાભ બિયારણના જથ્થો ઉપલબ્ધ હોય તેને આધીન, વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકે છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ,  ગુજકોમાસોલ, નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાઓ પાસેથી એટ્સોર્સ સહાયના ધોરણે મગફળી, દીવેલા અને તલ વગેરે પાકોની નવા સંશોધિત જાતોના પ્રમાણિત બિયારણો મળી શકશે. આ યોજનામાં મગફળીના પાકમાં GJG-૨૨, GJG-૩૨, દીવેલા પાકમાં GCH-૮, GCH-૯ તેમજ તલના પાકમાં GJT-૫ અને GUJ TIL-૬ પ્રકારની જાતોમાં લાભ મળવાપાત્ર છે.

    સીડ રિપ્લેસમે‍ન્ટ રેટ (SRR)ના ધારા ધોરણ મુજબ મગફળી પાક બિયારણની કિંમતના ૫૦% અથવા પ્રતિ કિલોગ્રામ રુ.૪૦ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય, દીવેલા અને તલના પાકના બિયારણની કિંમતના ૫૦% અથવા પ્રતિ કિલોગ્રામ રુ.૮૦ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય મળવાપાત્ર છે. સહાય માટે ખાતાદીઠ જમીન ધરાવતા હોય તેની મર્યાદામાં વધુમાં વધુ બે હેક્ટર માટે સહાય મળવાપાત્ર છે. ખેડૂતોએ ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજકોમાસોલ, નેશનલ સીડ કોર્પોરેશન અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરી જરુરી ૮-અ અને આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. વધુ જાણકારી માટે ગ્રામ સેવક તેમજ તાલુકાના વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અને  મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ-કચેરીનો અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકોમાસોલ, નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts