ગુજરાત સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાનનો પ્રારંભ કરાવી દરેક ગામ કોરોનામુક્ત બને એ દિશામાં કાર્ય કરવા અપીલ કરી છે. અમરેલી જિલ્લામાં આ અભિયાનને વેગ આપવા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ ૨૫૫ જેટલા કોમ્યુનિટી કોવીડ સેન્ટર શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્યકક્ષા તથા તાલુકા કક્ષાએ બનાવેલી સમિતિ રોજબરોજની કામગીરીનું સુપરવિઝન તેમજ મોનીટરીંગ કરશે.
આ અંગે વધુ વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર જણાવે છે કે ગ્રામ્ય કક્ષાએ કોવીડ કેર સેન્ટર ચાલુ કરવા માટે ગામની શાળા, આંગણવાડી, સમાજવાડી, કોમ્યુનિટી હોલ કે અન્ય સામાજિક સંસ્થાની જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. ઉપરથી સૂચના મળ્યાનાં ફક્ત બે જ દિવસમાં અમરેલી જિલ્લામાં રાજુલા અને કુંકાવાવ તાલુકાના ગામોમાં કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર હાલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ સેન્ટરો ઉપર માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે તેમજ સેન્ટરો ઉપર દવાનો જથ્થા, ઓક્સિજન, પૂરતા બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી દિવસોમાં ૨૫૫ થી વધુ ગામોમાં તાત્કાલિક અસરથી કોવીડ સેન્ટરો ઉભા કરવાની દિશામાં હાલ પ્રયત્નો ચાલુ છે.
સમિતિની રચના અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાએથી મળેલી સૂચના મુજબ ગ્રામ્યકક્ષાએ સરપંચ, તલાટી, ઉપસરપંચ, સામાજિક આગેવાન, ગ્રામ પંચાયતના સભ્ય તથા અન્ય પ્રતિનિધિઓ સહીત ૧૦ સભ્યોની સમિતિ બનાવવામાં આવશે અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા અનુસાર સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવશે.
રાજુલાના તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રણવ જોશી જણાવે છે કે રાજુલાના કોવાયા અને ખાખબાઈ ગામે કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની વિષમ પરિસ્થિતિમાં કોવાયા સ્થિત ખાનગી કંપનીએ કોવીડ સેન્ટર ચાલુ કરવામાં મદદરૂપ બનીને નોંધનીય કામગીરી કરી છે. તેવી જ રીતે કુંકાવાવના તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલન રાવ કહે છે કે હનુમાન ખીજડીયા ગામે કોવીડ સેન્ટર ચાલુ કરવામાં ગામના પદાધિકારીઓ અને ગ્રામજનોનો ખુબ મોટો સાથ સહકાર મળ્યો છે.
Recent Comments