ભાવનગર

મુનીશભાઇ બંસલે કોરોના સામે લડવાં પ્રધાનમંત્રી કેર ફંડ માં રૂા. ૫ લાખનો ફાળો જમા કરાવ્યો

કોરોના કાળમાં રાજ્ય સરકાર સાથે ખભેખભો મિલાવી સેવાભાવી સંસ્થાઓ સાથે નાગરિકો પણ પોતાનું નાનું મોટું યોગદાન આપીને દેશ પર આવી પડેલ કોરોનાની આફતમાંથી ઉગરવાં માટે યતકિંચિત ફાળો આપી રહ્યા છે. ગુજરાત તેની સખાવત પ્રવૃત્તિ માટે જાણીતું છે. જ્યારે-જ્યારે સમાજ પર આફત આવી પડે છે ત્યારે આ દાનવૃત્તિ ખરાં અર્થમાં બહાર આવીને ઝળકે છે.

ભાવનગરના આવાં જ એક ધંધાર્થી મુનીશ બંસલે પોતાનું સમાજ દાયિત્વ સમજીને સામેથી કલેક્ટર કચેરીમાં આવીને દેશ પર આવી પડેલી આ આપદામાં પોતાનું યોગદાન આપતાં પ્રધાનમંત્રી કેર ફંડમાં રૂા. ૫ લાખનો ચેક ભાવનગર કલેક્ટરશ્રીને કલેક્ટર કચેરી ખાતે સામેથી આવીને રૂબરૂ આપ્યો હતો.

શીપ બ્રેકિંગનો ધંધો કરતાં મુનીશભાઇ કહે છે કે, દેશ પર આવી પડેલ આ મહામારીના સમયમાં ભારતના દરેક ભારતીય નાગરિક દ્વારા નાનું- મોટું યોગદાન આપવામાં આવે તો આપણે કોરોનાની મક્કમતાથી સામનો કરી શકીશું.
તેમના દ્વારા અપાયેલું દાન સિધ્ધ કરે છે કે, તેઓ માત્ર ‘શીપ બ્રેકિંગ કરવાનું જ નથી જાણતાં દરેક ભારતીયના દિલને જોડી રાખવાનું પણ સારી રીતે જાણે છે’.

મુનીશભાઇ બંસલ કહે છે કે, દેશમાં જે રીતે કોરોનાનો વ્યાપ વધ્યો છે તેને ખાળવાં રાજ્ય સરકાર સાથે તમામ લોકોએ પણ એક ભારતીય તરીકે લડવું જરૂરી છે તો જ તેની આપણે તેને દેશવટો આપી શકીશું.

ઉલ્લેખનીય છે કે, મુનીશભાઇના સગાં કપૂર બંસલ દ્વારા સર ટી. હોસ્પટલ માટે દરરોજ રૂા. ૫૦ હજારનો ઓક્સિજન ભરાવી આપવામાં આવે છે. આ ઉપરાંત તેમણે સર ટી. હોસ્પિટલમાં રૂા. ૩૦ લાખના મેડિકલના સાધનો આપ્યાં છે. તે જાણીને તેમણે પણ સમાજ માટે કંઇક કરવું જોઇએ. તેવી ઉદ્દાત ભાવથી પ્રેરાઇને આજે કલેક્ટરશ્રીને આ માટેનો રૂા. ૫ લાખનો ચેક પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવવા માટે આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બંસલ પરિવાર બિન ગુજરાતી એવું પંજાબી કુટુંબ છે. પરંતુ ભાવનગરને પોતાની કર્મભૂમિ બનાવેલ આ કુટુંબની રગેરગમાં દાનવૃત્તિ છલકે છે. ભાવનગરમાં પણ અનેક સેવાભાવી પ્રવૃત્તિ સાથે આ કુટુંબ સંકળાયેલું છે.

એક બહોળા કુટુંબના તમામ સભ્યો અલગ-અલગ રીતે ગુજરાત પર આવેલાં સંકટમાં અલગ-અલગ રીતે પોતાનું યોગદાન આપે તેમાંથી અન્ય પણ પ્રેરણાં લે તેવું ઉદાહરણરૂપ છે. ગુજરાતના સખાવતના ઉજળાં સંસ્કાર તેમની આ દાનવીર પ્રવૃત્તિમાં છલકે છે. બિનગુજરાતી તરીકે તેમનો આ ગુજરાત માટેનો પ્રેમ પ્રશંસનીય છે.

કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ પણ ભાવનગર જિલ્લાના નાગરિક તરીકે દેશ માટે આવું દાયિત્વ નિભાવવાં માટે શ્રી મુનીશભાઇ બંસલને અભિનંદન આપ્યાં હતાં. દેશ માટેની આવી કર્તવ્યનિષ્ડાથી જ દેશ કોરોના જેવી મહામારીનો મુકાબલો કરી શકે છે તેવી ભાવના પણ તેમણે આ અવસરે પ્રગટ કરી હતી

Related Posts