ગેસના ભાવમાં ૧ ડોલરનો વધારો કરવામાં આવે તો ઓએનજીસીની વાર્ષિક આવકમાં ૫૨૦૦ કરોડ રૃપિયાનો વધારો થાય છે. ટેક્સ અને અન્ય ચાર્જિસ બાદ કર્યા પછી કંપનીને ૩૨૦૦ થી ૩૩૦૦ કરોડ રૃપિયાનો ફાયદો થાય છે. છેલ્લે ગેસના ભાવમાં એપ્રિલ, ૨૦૧૯માં વધૈારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટતા કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા ન હતાં.સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬૨ ટકાનો વધારો કર્યો છે. કુદરતી ગેસનો ઉપયોગ વીજળી, ખાતર, રાંધણ ગેસ અને સીએનજીના ઉત્પાદનમાં કરવામાં આવે છે. એપ્રિલ ૨૦૧૯ પછી પ્રથમ વખત કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે કુદરતી ગેસના ભાવ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રૂડના ભાવ વધવા છતાં એલએનજીના ભાવ વધારવામાં આવ્યા નથી. ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ(પીપીએસી)એ જણાવ્યું છે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ(ઓઇલ)માંથી ઉત્પન્ન થતા ગેસ માટે મિલિયન થર્મલ યુનિટ દીઠ ૨.૯૦ ડાલર ચૂકવવામાં આવશે. અગાઉ આ ભાવ ૧.૭૯ ડોલર હતો.
આ ઉપરાંત અન્ય મુશ્કેલ ફિલ્ડમાંથી ઉત્પન્ન થતાં ગેસ માટે મિલિયન થર્મલ યુનિટ દીઠ ૬.૧૩ ડોલર ચૂકવવામાં આવશે. આ ગેસનો અગાઉનો ભાવ ૩.૬૨ ડાલર હતો. ે કેજી-ડી૬ જેવા ઉંડા સમુદ્રમાંથી ગેસ ઉત્પન્ન કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પાર્ટનર બીપી ૬.૧૩ ડોલરનો મહત્તમ ભાવ લેવા હકદાર બનશે. કુદરતી ગેસના આ ભાવવધારાને કારણે સીએનજી તથા દિલ્હી અને મુંબઇમાં પાઇપ દ્વારા પહોંચાડવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં ૧૦ થી ૧૧ ટકાનો વધારો થવાની શક્યતા છે. વીજળી ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે પણ ગેસમાંથી વીજળી બનાવવાનું પ્રમાણ ઓછું હોવાથી ગ્રાહકો પર તેની મોટી અસર નહીં થવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ટૂંક સમયમાં ૫૦ થી ૧૦૦ રૃપિયાનો ભાવવધારો તોળાઇ રહ્યો છે. આ અગાઉ છેલ્લે ચાલુ વર્ષના એપ્રિલમાં કુદરતી ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવી હતી. તે સમયે કુદરતી ગેસના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેનો ભાવ ૧.૭૯ ડોલર પર સ્થિર રાખવામાં આવ્યો હતો. જ્યારે ઉંડા સમુદ્રમાંથી ઉત્પન્ન કરાતા ગેસનો ભાવ ૪.૦૬ ડોલરથી ઘટાડી ૩.૬૨ ડોલર કરવામાં આવ્યો હતો.
Recent Comments