લાઠી – બાબરાનાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે મોદી સરકારની લોક વિરોધી આર્થિક નીતિઓની ઉગ્ર ઝાટકણી કાઢતાં આજરોજ એક નિવેદનમાં જણાવ્યું છે કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતકાળમાં પેટ્રોલ – ડીઝલ અને ગેસના ભાવ વધારાને લઈને દેશના ખુણે – ખુણે જઈને “ બહુત હુઇ મહંગાઇ કી માર ” જેવા સુત્રો જોરશોરથી પોકારી ….. પોકારીને દેશની સવા સો કરોડ જનતાને ગુમરાહ કરી અને બીજી તરફ દેશની સવા સો કરોડ જનતાને તેમના બેંક ખાતામાં રૂપિયા પંદર લાખ જમા કરાવવાના લોભામણાં અને સોનેરી સપનાઓ દેખાડીને સત્તા તો મેળવી લીધી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાપિ સંતોષી ન શકાય એવી લોક અપેક્ષાઓને પુરી કરવા તેમના સાત વર્ષના ( કુ ) શાસનમાં આર્થિક સુધારાઓના નામે નોટબંધી થી માંડીને એક પછી એક નાના – મોટા અનેક મનઘડત આર્થિક સુધારાઓ કર્યા કે જેના કારણે દેશની અર્થવ્યવસ્થા એટલી હદે ખોરવાઇ ગઈ છે કે શું ? હવે તેઓ તેના ઉપર અંકુશ મેળવી શકશે કે કેમ ? તે એક સવાલ છે . ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનઘડત આર્થિક નીતિઓના કારણે પેટ્રોલ ડીઝલ – ગેસ – કેરોસીન અને ખાદ્યતેલ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી માંડીને તમામ પ્રકારની ચીજવસ્તુઓના ભાવો નિરંકુશપણે સતત વધી રહ્યા છે તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બનતું જાય છે .
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની દશા એક સાંધે ત્યાં તેર તુટે જેવી થઈ ગઈ છે . ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે , આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો ઘટવા છતાં મોદી સરકારે પેટ્રોલીયમ પેદાશોના ભાવોમાં વધારો કરીને નફાખોરી કરી રહી છે . મોદી સરકારે પેટ્રોલ – ડીઝલ અને ગેસના ભાવોમાં વધારો કરીને એક અંદાજ મુજબ રૂપિયા પચ્ચીસ લાખ કરોડની આવક કરી છે તે બતાવે છે કે મોદી સરકારે રીતસરની લુંટ મચાવી છે . ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું કે , લોકોની મુશ્કેલીઓનો અહીં અંત આવતો હોય તેમ જણાતું નથી . કેમ કે , મોદી સરકારે મોંઘવારી ઉપરથી અંકુશ ગુમાવી દીધો છે . આગામી દિવસોમાં મોંઘવારીમાં હજુ વધારો થવાની પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી છે . પેટ્રોલ અને ડીઝલનાં ભાવો વધતાં , આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટરો પણ માલભાડામાં વધારો કરશે તે નિશ્વિત છે અને તેથી મોંઘવારીમાં વધારો થવાથી સામાન્ય માણસોની મુશ્કેલીઓમાં નિશ્વિતપણે વધારો થશે ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું કે , કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો નીચા લાવવા એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જરૂર છે . મોદી સરકારે એકસાઇઝ ડ્યુટીના માધ્યમ થી પ્રતિ લીટર પેટ્રોલ પર અંદાજે ૨૪ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર અંદાજે ૨૯ રૂપિયા જેટલો એકસાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે તે દેશના પેટ્રોલ અને ડીઝલ ઉપભોકતાઓના હિતમાં પાછો ખેંચવા મોદી સરકારને અનુરોધ કરૂં છું તેમ વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું
Recent Comments