ગુજરાત

મોબાઈલમાં વીડિયો બનાવવામાં પાવરધી ૧૧ વર્ષની બાળકીને ફાંસો લાગતા મોત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૧૧ વર્ષની બાળકીને વીડિયો ઉતારતા ફાંસો લાગી જતા મોત નીપજ્યું છે. માતા નાના ભાઈ નિખીલને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી. ત્યારે બાળકી મોબાઈલમાં વિડીયો બનાવવામાં મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. માતાએ ઘર બહાર જવાની ન પાડી હતી. મૃતકનું પરિવાર મૂળ નેપાળનું વતની છે. ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ૧૧ વર્ષની બાળકી મળી આવી છે. રમતા રમતા ગળેફાંસો આવી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સંદર્ભે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવાનો શોખ ધરાવતી નેપાળી પરિવારની ૧૧ વર્ષીય બાળકીને ઘરમાં રમતાં રમતાં ફાંસો લાગી જતાં મોતને ભેટી હોવાની ઘટના મહિધરપુરા, હીરાબજાર ખાતેના જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં ઘટી હતી. માતા નાના ભાઈને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી. લાડકવાયી પુત્રીની અણધારી વિદાયથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ નેપાળના વતની હીરાભાઈ ભૂલ વર્ષોથી મહિધરપુરા, હીરાબજાર ખાતેના જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરી પરિવાર સાથે ત્યાં જ રહે છે. હીરાભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જે પૈકી બે પુત્રી વતનમાં રહે છે, જ્યારે નાની પુત્રી નિકિતા (ઉં.વ.૧૧) અને પુત્ર નિખિલ તેમની સાથે રહે છે. દરમિયાન શનિવારે બપોરે નિકિતા ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેણીને તાબડતોબ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી.

નિકિતાને રમતાં રમતાં ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું મહિધરપુરા પોલીસ જણાવી રહી છે. બીજી બાજુ સગા-સંબંધીએ કહ્યું હતું કે, નિકિતાને મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવાનો શોખ હતો. તેણીએ મોબાઈલ ફોનમાં ગીતો ગાતા અને ડાન્સ કરતા સંખ્યાબંધ વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવવાના ચક્કરમાં તેણીને ફાંસો લાગી ગયો હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી હતી. જાેકે, પોલીસે આવી કોઈ માહિતી હજી અમારી પાસે આવી નહીં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પીએસઆઈ જે. પી. ગુપ્તા તપાસ કરી રહ્યા છે.

મૃતક નિકિતાની માતા ધનકલાબેને જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ નિકિતાનું બીજા ધોરણમાં એડમિશન કરાવ્યું હતું. રવિવારે બપોરે જમીને કામ પર જતા પહેલા તેણીને નાના ભાઈ નિખિલને સાચવવા માટે કહી ઘરમાંથી બહાર નહી નીકળવા કહ્યું હતું.પીએમ કરનારા સ્મીમેરના ડો. આશિત ગામીતે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં પણ ફાંસો લાગવાથી મોત થયાની હકીકત સામે આવી છે. કાંઈ શંકાસ્પદ જણાયું નથી.

Related Posts