રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠઠો દિવસ છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યુ છે. યુક્રેનમાં ફસાયેલા ૧૮૨ ભારતીય નાગરિકોને લઈ ઓપરેશન ગંગાની સાતમી ફ્લાઈટ બુખારેસ્ટથી મુંબઈ પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તેમનું સ્વાગત કર્યુ. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું આજે યુક્રેનથી એક ફ્લાઈટ ૧૮૨ ભારતીય વિદ્યાર્થીઓને લઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી છચે.
મેં બધાનું સ્વાગત કર્યુ છે. બધા જ યુક્રેનની પરિસ્થિતિ જાેઈને ગભરાયેલા હતા, મેં બધાને ખાતરી આપી છે કે તમે બધા સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છો. આ પહેલા વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ઓપરેશન ગંગા હેઠળ ૧૮૨ ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને સાતમી ફ્લાઈટ રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી મુંબઈ માટે રવાના થઈ છે. એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ઓપરેશન ગંગા પોતાની સાતમી ફ્લાઈટની ઉડાન ભરી નીકળી છે. ૧૮૨ ભારતીય નાગરિકોએ બુખારેસ્ટથી મુંબઈની મુસાફરી શરૂ કરી દીધી છે. તેની વચ્ચે યુક્રેન સંકટ પર સોમવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર સરકારી મશીનરી ૨૪ કલાક કામ કરી રહી છે, જેથી સુનિશ્ચિત થઈ શકે કે ત્યાં તમામ ભારતીય સુરક્ષિત છે. કેન્દ્રીયપ્રધાન હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ અને જનરલ (સેવાનિવૃત) વી.કે.સિંહ સહિત ‘વિશેષ દુત’ યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સંકલન કરવા યુક્રેનના પડોશી દેશોનો પ્રવાસ કરશે.
૨૪ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાને યુક્રેન કટોકટી પર નવી દિલ્હીમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્ર સરકારે સંઘર્ષગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયા દ્વારા વિશેષ ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે. અગાઉ સોમવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ દ્વારા પ્રારંભિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી ભારતે ૮,૦૦૦થી વધુ નાગરિકોને બહાર કાઢ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે લગભગ ૧,૪૦૦ નાગરિકોને પરત લાવવા માટે છ ફ્લાઈટ્સ ભારતમાં ઉતરી છે.
Recent Comments