રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં અમરેલી જિલ્લાના ૨૧ જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન તથા અન્ય પ્રભાવિત દેશોમાં ફસાયા છે. જેમાંથી બે વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. યુક્રેનમાં ફસાયેલા અમરેલી જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીશ્રીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું હતુ. પ્રાંત અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકારશ્રી દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.
આ અંગે વધુ વાત કરતા મામલતદાર શ્રી વાય.એમ.જોશી જણાવે છે કે યુક્રેનથી અમરેલીના બે વિદ્યાર્થીઓ અંજલી તથા શિવ સલામત રીતે પરત આવી પરિવારજનો સાથે મિલન થતા હર્ષની લાગણી અનુભવેલ તથા પરિવારજનોએ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અંજલીબેન તો સંપૂર્ણપણે સરકારી ખર્ચે પોતાનાં ઘર સુધી પહોંચી છે.
સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર.આર. ગોહિલ અને રાજુલા પ્રાંત અધિકારી શ્રી કે. એસ. ડાભીએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી ઓપરેશન ગંગા અંગે માહિતગાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ૨૧ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ હાલ ઘરે આવી પહોંચ્યા છે. અન્ય વિદ્યાર્થીઓને પોતાના ઘરે પહોંચાડવાની પ્રક્રિયા પુરજોશમાં હાલ શરુ છે.
Recent Comments