રાજકોટના શિવાજીનગર-૨માં રહેતા અજય રાજુ મકવાણા, મનહરપરા-૧માં રહેતા સાગર ધીરૂ રાઠોડ અને નવયુગપરા-૧ના ઇલ્સાય ગુલામહુશેન પીઠડિયાને આજી ડેમ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચે રિક્ષા તેમજ રોકડા રૂ.૨૨ હજાર સાથે પકડી ધરપકડ કરી છે. પકડાયેલી ત્રિપુટીની પૂછપરછમાં ચાર બનાવના ભેદ ઉકેલાયા છે. જેમાં બે બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે બે બનાવની ફરિયાદ થઇ ન હતી. તે પૈકી એક પાંચ દિવસ પહેલા મવડી ચોકડીથી દંપતીને રિક્ષામાં બેસાડ્યા બાદ વૃદ્ધના ખિસ્સામાંથી ૨૦ હજારની તફડંચી કર્યાની કબૂલાત આપી હતી. જે કબૂલાત બાદ પોલીસે તપાસ કરતા કોડીનારના ચૌહાણની ખાણ ગામે રહેતા ભીખાભાઇ મોહનભાઇ ગોઢાણિયા નામના વૃદ્ધ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. જેના આધારે વૃદ્ધની માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી છે.
વૃદ્ધની ફરિયાદ મુજબ, રાજકોટ રહેતા સાઢુભાઇની તબિયત ખરાબ થઇ હોય પોતે પત્ની સાથે તા.૧ના રોજ રાજકોટ આવ્યા હતા. મવડી ચોકડી ઉતર્યા બાદ રિક્ષામાં સાઢુભાઇના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે અધવચ્ચે બાજુમાં બેઠેલા અન્ય એક મુસાફર ઊલટી કરવાના બહાને પોતાના પર પડ્યો હતો. બાદમાં ઉમિયા ચોક આવતા રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા. હજુ તેને ભાડું ચૂકવવા ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યાં જ ચાલકે રિક્ષા ભગાવી મૂકી હતી. ત્યારે ખિસ્સામાં રાખેલા રોકડા રૂ.૨૦ હજાર ગાયબ હતા. રોકડા રૂપિયા રિક્ષામાં સવાર ગઠિયાઓએ જ સેરવ્યા હોવાની ખબર પડી હતી. બાદમાં પોતે સાઢુભાઇના ખબર અંતર પૂછી પરત વતન જતા રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પકડાયેલી ત્રિપુટી પૈકી અજય મકવાણા સામે અગાઉ ચાર અને સાગર રાઠોડ સામે બે ગુના નોંધાયા છે.
જ્યારે અન્ય એક કુવાડવા રોડ પર સદગુરુ દર્શન કોમ્પ્લેક્સમાં રહેતી સોનલ નામની પરિણીતાએ બેડીપરામાં રહેતા પતિ નાગેન્દ્ર ઉમેશભાઇ સોલંકી, નણંદ પલ્લવીબેન, જેઠ ધર્મેન્દ્રભાઇ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન નાગેન્દ્ર સાથે ૨૦૧૧માં થયા છે. લગ્નના થોડા સમય બાદ જ નણંદે ઘરકામ મુદ્દે પોતાની સાથે ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે વાત પતિ, જેઠ સુધી પહોંચતા તેઓ ઝઘડો કરી ગાળો ભાંડતા રહેતા હતા. એટલું જ નહિ પતિ નાગેન્દ્ર પોતાના ચારિત્ર પર અવારનવાર શંકાઓ કરતા હતા અને આ મુદ્દે પતિ પોતાની સાથે ઝઘડો કરી માર મારતા હતા. દાંપત્ય જીવન ન તૂટે તે માટે પતિ, જેઠ, નણંદનો ત્રાસ સહન કર્યો હતો, પરંતુ પતિ સહિતનાઓએ અનહદ ત્રાસ આપતા અંતે કંટાળીને માવતરે આવી જઇ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Recent Comments