રાજ્યભરમાં કોરોનાએ તો હવે હદ કરી નાંખી છે. હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી, લાઈનોમાં ઈન્જેક્શનમ મળી રહ્યા નથી. સ્મશાનગૃહોમાં વેટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૪ કલાકમાં ૩૯ મોત જાહેર થયા છે, જ્યારે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી વુહાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ તમામ વાતો વચ્ચે રાજકોટમાં મોતનું અટ્ટહાસ્ય સામે આવ્યું છે. રાજકોટમાં અંતિમવિધિ માટે લાંબી કતારો જાેવા મળી રહી છે. રાજકોટના ૮૦ ફૂટ સ્મશાનગૃહોમાં ૮ મૃતદેહ એક સાથે આવી જતાં મોટું વેઈટિંગ જાેવા મળી રહ્યું છે. અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે કોઈને ડરાવવા માટે નથી, પરંતુ રાજ્યની સાચી પરિસ્થિતિનો ચિતાર જાણી શકો. અને તમે સ્થિતિની ગંભીરતાને સમજી શકો..
રાજકોટની આરોગ્ય સેવાઓ હવે તૂટી રહી છે, તંત્ર ટૂંકું પડી રહ્યું છે. રાજકોટના ૮૦ ફૂટ સ્મશાનગૃહોનો એક વીડિયો સામે આવ્યો છે, જેના દ્રશ્યો કમકમાટી ભર્યા છે. અહીં આજે અંતિમક્રિયા માટે લાંબું વેઈટિંગ જાેવા મળી રહ્યું છે. એક સાથે ૮ મૃતદેહો આવી જતાં સ્થિતિ વણસી રહી છે. રાજકોટમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી, મોટી અછત સર્જાઈ છે, એમ્બ્યુલન્સની અછત, ઈન્જેક્શનની અછત, દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત, સ્મશાનની અછત છે. બસ ખાલી મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાના કાળચક્રમાં ગઈકાલે ૮૨ દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં ૬૯૮ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના રેકોર્ડબ્રેક છે. ૪ સ્મશાનોને અનામત રાખવા છતા અંતિમદાહ માટે એકથી બે દિવસના વેઈટીંગ છે. રોજ ૫૦૦થી વધુ કેસ સામે અસરકાર વ્યવસ્થા સર્જવાને બદલે મૃત્યુઆંક અને તેનાથી પણ વધુ ભયાવહ અવ્યવસ્થા છૂપાવવામાં વ્યસ્ત નેતાઓ અને અમલદારોએ આજે ત્રણ સપ્તાહ થવા છતાં અસરકાર પગલાં ભરવામાં નિષ્ફળ ગયા છે. દર્દીઓને બેડ મળતા નથી. ઈન્જેક્શન માટે ભટકવું પડે છે. ઓક્સિજન વિના શ્વાસ તૂટે છે છતાં વહીવટીતંત્ર સાવ સંવેદનશીલ પુરવાર થયું છે.
કોરોનાની આપદા ખુબ વિકરાળ છે પરંતુ આવા કટોકટીના સમયે જ સરકારે પોતાની ભૂમિકા ભજવવાની હોય છે રાજકોટમાં અત્યારે ૩૧૦૦ બેડ ઉપલબ્ધ છે. જેમાંથી સત્તાવાર રીતે ૧૨૯ બેડ ખાલી દર્શાવાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે એક પણ બેડ ખાલી નથી. ખાનગી હોસ્પિટલો કોને એડમીટ કરે છે અને તેના સ્થાને કોને બેડ મળે છે તેના પર કોઈની લગામ નથી, કોઈ પારદર્શિતા નથી.
રાજકોટમાં ઈમરજન્સી ૧૦૮ના સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં સર્વાધિક ઈમરજન્સી રાજકોટમાં નોંધાઈ રહી છે. કોઈ પણ સમયે ૧૫૦થી વધુ કોલનું વેઈટીંગ રહે છે. રાજકોટમાં ઈન્જેક્શનની અછતથી મૃત્યુઆંક વધ્યાનું આઈએમએના પ્રમખ જણાવે છે.
રાજકોટ શહેરમાં એક જ દિવસમાં થયેલા ૧૪,૩૬૦ના ટેસ્ટમાંથી ૬૯૮ કોરોના સંક્રમિતો સામે આવતા ભારે ખૌફ ફેલાયો છે. આ સાથે જ રેકોર્ડબ્રેક ૮૨ દર્દીના મોત નિપજતા ભયાનકતા ફેલાઈ છે. શહેરમાં ૨૪૯૧૭ દર્દી કોરોના પોઝીટીવ આવી ચૂક્યા છે. જેમાથી ૨૦૪૬૭ દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે. જાે કે, અત્યારે સૌતી વધુ દર્દીઓ ઓક્સિજન બેડના અભાવે મૃત્યું પામી રહ્યા છે. કોરોનાથી સાજા થતાં દર્દીઓની રીકવરી રેઈટ પણ ઘટીને ૮૩.૪૧ ટકા થઈ ગયો છે. ગુરુવારે કોરોનાના ૬૯૮ કેસ સામે ૨૮૪ દર્દી જ સાજા થયા હતા. દૈનિક ટેસ્ટમાંથી ૩.૮૪ ટકા દર્દીઓ કોરોના પોઝિટિવ સામે આવતા શહેરમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે.
Recent Comments