સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વિદેશમાં થતી શાકભાજીનું વાવેતર કરાયું

એક્ઝોટિક શાકભાજીનું રાજકોટ જિલ્લામાં ખેડૂતો પણ વાવેતર કરવા લાગ્યા છે. પર્પલ ફ્લાવર, થાઇ બેસિલ, બ્રોકલી, ગ્રીન કેલે, લેટ્યુસ, અમેરિકન રેડ કેલે, નોન કોલ, ઝુકીની યલો – ગ્રીન જેવી શાકભાજીનું મોટા ભાગે રશિયા, અમેરિકા તથા યુરોપિયન દેશોમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે સંશોધન થકી રાજકોટના ખેડૂતો પણ આ શાકભાજીનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. રાજકોટથી માત્ર ૧૨ કિમીના અંતરે આવેલા આણંદપર ગામ ખાતે ખેતી કરતા વિશાલ જેસડિયાના જણાવ્યા અનુસાર, એક્ઝોટિક શાકભાજીનું વાવેતર કરવામાં પ્રતિ વીઘામાં રૂ. ૨૦ હજાર જેટલો ખર્ચ થાય છે, જ્યારે એની સામે રૂ. દોઢ લાખ જેટલી આવક મળે છે. સામાન્ય રીતે આ પાકનું વાવેતર શિયાળા દરમિયાન કરવામાં આવે છે. એનું વેચાણ અત્યારે રાજકોટ, અમદાવાદ ખાતે મોટા ભાગે હોટલ – રેસ્ટોરાંમાં કરવામાં આવે છે.

વિદેશી શાકભાજીનું ભારતમાં નાશિક, હિમાચલ પ્રદેશ બાજુના વિસ્તારોમાં વાવેતર કરવામાં આવે છે. વિશાલ જેસડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં ઓછું ઉત્પાદન થતું હોવાનું કારણ ખેડૂતોની ઓછી જાગૃતિ અને હવામાનની અનુકૂળતા છે. ગલ્ફ દેશોમાં શાકભાજી પણ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, ત્યારે આવનારા દિવસોમાં એ દેશોમાં પણ એક્સોટિક શાકભાજીની માગ વધુ હોવાથી નિકાસ કરવામાં આવે તો હજુ વધુ આવક મેળવી શકાય છે.વિદેશમાં થતી શાકભાજીનું વાવેતર ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક લેવલ પર કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. વિદેશમાં થતી કેટલીક શાકભાજીની આપણા દેશમાં પણ ધૂમ માગ વધી છે. ત્યારે કેટલાક લોકો વિદેશથી શાકભાજી આયાત કરે છે, પરંતુ ભારત દેશના સતત પ્રયત્નશીલ ખેડૂતો સંશોધન કરી વિદેશી શાકભાજીનું વાવેતર ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે કરવા લાગ્યા છે. એક્સોટિક શાકભાજીનું ચલણ વધતું જાય છે. હોટેલ – રેસ્ટોરાંમાં વિવિધ પ્રકારનાં શાકમાં એક્ઝોટિક શાકભાજીનું પ્રમાણ ઉમેરવા પર આકર્ષક અને સ્વાદિષ્ટ બને છે.

Related Posts