સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સ્મશાન ગૃહનો ૫૦ ટકા સ્ટાફ થયો કોરોના સંક્રમિત

શહેરમાં સૌથી મોટું મુક્તિધામ આજી નદી ખાતે આવેલું રામનાથપરા સ્મશાન ધામમાં દરરોજની ૪૦થી ૪૫ જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હાલ છેલ્લા પંદર દિવસથી દિવસ-રાત અહીંના કર્મચારીઓ કામ કરતાં હોવાના કારણે અહીંનો ૫૦ ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેમને રજા ઉપર જવાની ફરજ પડી છે. જ્યારે હાલ ૫૦ ટકા કર્મચારીઓ દ્વારા સ્મશાનની કામગીરી શરૂ રાખવામાં આવી છે. છેલ્લા પંદર દિવસથી સતત ૨૪ કલાક સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી ચાલુ હોવાના કારણે તેમાં પણ ખામી સર્જાઈ છે.

રામનાથપરા સ્મશાનનું સંચાલન કરતા શ્યામભાઈએ જણાવ્યું, છેલ્લા કેટલાક દિવસોથી સતત કોવિડ બોડીઓનું અંતિમ સંસ્કાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ ૨૫થી ૩૦ માણસોનો સ્ટાફ છે. જેમાં ૫૦ ટકા જેટલો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. જેમને રજા ઉપર ઉતારવાની ફરજ પડી છે. જેના કારણે સ્મશાનમાં અન્ય સ્ટાફને કોરોના ન થાય સ્મશાનમાં અંતિમવિધિની કામગીરી શરૂ રહે તે માટે મનપા તંત્ર દ્વારા પણ સ્ટાફ આપવાની પણ વાત કરી છે. હાલ રામનાથપરા સ્મશાનના ૫૦ ટકા કર્મચારીઓ સાથે અંતિમવિધિ કરવાનું કામકાજ શરૂ રાખવામાં આવ્યું છે.

રામનાથપરા સ્મશાન ગૃહ રાજકોટ સૌથી મોટું સ્મશાનગૃહ માનવામાં આવે છે. મોટાભાગના કોરોનાના મૃતકોની અંતિમવિધિ અહીં જ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત ૨૪ કલાક ભઠ્ઠી ચાલું રહેવાના કારણે તેમાં ખામી સર્જાઈ હતી. જેને લઇને સ્મશાનમાં આવતી બોડીનું લાકડામાં અંતિમ વિધિ કરવાનું કામ શરૂ રાખવામાં આવ્યું હતું. જ્યારે હાલ થોડા સમય માટે સ્મશાન ગૃહમાં બોડી સ્વીકારવાનું કામકાજ પણ બંધ રાખવામાં આવ્યું છે. સમગ્ર મામલે સ્મશાન સંચાલકો દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવી છે.

Related Posts