ગુજરાત

રાજપીપળામાં રાજ્ય સરકાર દ્વારા રિ-લોન્ચ કરાયેલા ગુડ સમરીટન એવોર્ડથી નર્મદા જિલ્લાના પાંચ વ્યક્તિઓને કરાયા સન્માનિત

જીવલેણ માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને “ગોલ્ડન અવર”માં ઇજાગ્રસ્તનો જીવ બચાવી શકાય તે માટે મદદ પહોંચાડનાર વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત “ગુડ સમરીટન એવોર્ડ” યોજનાનું ગુજરાતમાં આજરોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં સમગ્ર રાજ્યના જિલ્લા કક્ષાના અધિકારીઓ ઓનલાઇન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયા હતા. નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના હસ્તે નર્મદા જિલ્લામાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને મદદરૂપ થનાર પાંચ વ્યક્તિઓને જિલ્લા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતા.

માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પ્રથમ કલાક એટલે કે “ગોલ્ડન અવર”માં યોગ્ય સારવાર મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ અનેક વખત લોકોના મનમાં કાયદાકીય ગુંચવણોમાં પડવાનો ડર રહેતો હોય છે. તેને દુર કરી રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે માનવીય અભિગમને બિરદાવવાના ઉમદા આશય સાથે માર્ગ સલામતી સુનિશ્વિત થાય તેવા શુભ આશય સાથે કેન્દ્ર સરકારની યોજના “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન”ને રાજ્યમાં લાગુ કરી “ગુડ સમરીટન એવોર્ડ” તરીકે રિ-લોન્ચ કરી રાજ્યના નાગરિકોને અકસ્માતના સમયે ત્વરિત અસરથી મદદરૂપ થવા માટે યોગ્ય સન્માન મળી રહે તેવું આયોજન કર્યું છે.

આ યોજનામાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી-મદદગાર વ્યક્તિને તેમના માનવીય અભિગમ સાથેની મદદને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવશે. “ગુડ સમરીટન એવોર્ડ” માટેના નક્કી થયેલા માપદંડોમાં એક ગુડ સમરીટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો તેને ૫ હજાર સુધીનો રોકડ પુરસ્કાર, જાે એક કરતા વધુ ગુડ સમરીટન એક વ્યક્તિનો જીવ બચાવે તો તેમની વચ્ચે રૂપિયા સમાન રીતે વહેંચવામાં આવશે અને જાે એક કરતા વધુ ગુડ સમરીટન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ ૫ હજાર પ્રતિ ગુડ સમરીટન વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં ઉક્ત જણાવેલા માપદંડો હાંસલ કરનાર અને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડનારા જિલ્લા ટ્રાફિક શાખાના હાઇવે પેટ્રોલ કારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બિપીન કનુભાઇ વસાવા, ૧૦૮ -એમ્બ્યુલન્સના પાયલોટ યશપાલસિંહ રણજીતસિંહ ડોઢીયા, ખાનગી એમ્બ્યુલન્સના ચાલક વિકેશભાઇ કનુભાઇ માછી, રાજપીપલાના નાગરિક મુજફર મહેબુબભાઇ શેખ અને જીતનગર ત્રણ રસ્તા ખાતે મકાઇ ડોડા વેચીને ગુજરાન ચલાવતા રોહિતભાઇ ગુરજીભાઇ વસાવાને તેમના માનવીય અભિગમ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Posts