વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના કૃષિકારોને કેમિકલ યુક્ત ખાતરવાળી ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્નાન કર્યુ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અનેની પ્રેરણાથી રાજ્યમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો અને તાલીમ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં અમરેલી જિલ્લો પણ અગ્રેસર છે. ખેતીપ્રધાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેડૂત પિતા-પુત્રએ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ અપવાની સફળતા પ્રાપ્ત કરી છે. પ્રાકૃતિક ખેતીથી બાગાયત કરી અને સફળતા મેળવનાર આ કૃષિકાર દૃષ્ટાંતરૂપ છે. રાજુલામાં મુરલીધર ફ્રુટ ફાર્મ હેઠળ ૨૬ વીઘા જમીનમાં છેલ્લા ૦૮ વર્ષથી દાનાભાઈ લાડુમોર જાંબુ, જામફળ, ગુલાબની ખેતી કરી રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી નારિયેળનો બગીચો પણ બનાવ્યો છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન તેમજ પરિચિત એવા તળાજા ગામના ખેડૂત શ્રી ચંદુભાઈ બારૈયાની પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા મળી. ખેડૂત દાનાભાઈ પોતાના શિક્ષક પુત્ર શ્રી હરેશભાઈ લાડુમોર સાથે આધુનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
દાનાભાઈએ ૨૬ વીઘા જમીનમાં નારિયળનાં ૪૩૦ રોપા, ગુલાબના ૧,૫૦૦ છોડ, જાંબુના ૨૨૫ રોપા, ૭૦૦ જેટલા જામફળના રોપા વાવ્યા હતા. આ પૈકી નારિયેળનું ઉત્પાદન આ વર્ષથી શરુ થવાની શક્યતા છે. પાછોતરા પાક તરીકે દાનાભાઈએ શાકભાજી તેમજ અન્ય ફળફળાદી જેવાં કે કમલમ ફ્રુટ, લીંબુ, આંબા અને પ્રયોગાત્મક ધોરણે સફરજન પણ ઉછેર્યા છે.
પ્રાકૃતિક કૃષિમાં મળેલી સફળતા અંગે માહિતી આપતા દાનાભાઈએ જણાવ્યુ કે, અમે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ ખેતી કરી રહ્યા છીએ. આ ખેતીમાં ખર્ચ ઘટ્યો છે અને ઉત્પાદન પહેલાં જેટલું મળે છે. ઉલટાનું પ્રાકૃતિક ખેતીની પેદાશોનો ભાવ પણ સારો મળી જાય છે. અમે ખાતર તરીકે જીવામૃત, ગૌ કૃપા બેક્ટેરીયા સહિતનો ઉપયોગ કરીએ છીએ જ્યારે હીંગ, હળદર, અજમો ગાયના દૂધના દ્રાવણનો છંટકાવ કરીએ છીએ.
દાનાભાઈના શિક્ષક પુત્ર શ્રી હરેશભાઈ લાડુમોરે ઉમેર્યુ કે, અમે દવા તરીકે ગૌ મૂત્રનો ઉકાળો, બાવળના બીના પાવડરનું દ્રાવણ, ગાયના દૂધની ખાટી છાશમાં ધતૂરો, લીમડો, આંકડો, લીલી મરચી, હીંગ સહિતનું મિશ્રણ ઉમેરી તેની દવા બનાવી અને ઉપયોગ કરીએ છીએ. ગેંડા કીટક સહિતની કોઈ પણ જીવાત નુકસાન ન કરે તેના માટે સમાયંતારે આ પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં અમારો ખર્ચ ઘટ્યો છે અને નફો પણ વધ્યો છે. તાઉતે વાવાઝોડા પહેલાં અમે એક વીધાએ રૂ.૦૧ લાખ સુધીનો નફો મેળવતા હતા, હાલમાં એક વીધામાં ૬૦-૭૦ હજાર રૂપિયા સુધીનો નફો મળી રહ્યો છે. નારિયેળનું ઉત્પાદન શરુ થયા પછી આ આવકમાં વધારો પણ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સ્કાય યોજના હેઠળ ખેતરમાં સોલાર વીજળીની ઉત્પાદન કરવાથી તેની સામે દિવસમાં ૧૨ કલાક વીજ પૂરવઠો આપવામાં આવે છે. જ્યારે સોલાર ઉત્પાદનમાં વધતા પૂરવઠાનો પણ યોજનાકીય લાભ મળે છે. ખેતરમાં પાણીની પ્રમાણમાં પુષ્કળ સુવિધા હોવા છતાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી પાણીનો કરકસર ઉપયોગ કરવામાં આવે છે. આમ, આ પ્રગતિશીલ ખેડૂત પરિવારે અન્ય ખેડૂતો અને ખેડૂત પરિવારો માટે પ્રેરણારુપ છે.
Recent Comments