‘મારું નામ અંજુમબેન મકવાણા છે. મારે ૧૧ મહિનાની દીકરી છે. થોડા સમય પહેલાં જ મેં ‘વહાલી દીકરી યોજના’માં મળવા પાત્ર લાભ માટે નોંધણી કરાવી હતી. આ યોજના અંતર્ગત મારી ‘વહાલી દીકરી’નું ઉજ્જવળ ભવિષ્ય કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કર્યુ છે. મારી દીકરી ૧૮ વર્ષની વય થતા સુધીમાં રુ.૧.૧૦ લાખની સહાય મળશે, વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ શબ્દો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામે ઉપસ્થિત રહેલા સીદી સમુદાયના લાભાર્થી મહિલાના.
સમગ્ર ભારતમાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન (PM-JANMAN) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જનજાતિ આદિમ જૂથના લોકોને વિવિધ યોજનાકીય સહાય – લાભો પહોંચાડવાની નેમ સાથે સોમવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના માંડળ ખાતે લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત ‘વહાલી દીકરી’ યોજનાના લાભાર્થી શ્રી અંજુમબેન મકવાણાએ ઉમેર્યુ કે, આ યોજના અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે સરકાર દ્વારા રુ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવશે જ્યારે દીકરી ધો.૯માં આવશે ત્યારે સરકાર દ્વારા રુ. ૬,૦૦૦ની સહાય આપવામાં આવશે. દીકરી જ્યારે ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારે રુ.૦૧ લાખની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ રુ. ૧.૧૦ લાખની સહાય મળતા મારી દીકરીના ભણતર સહિતના ખર્ચને પહોંચી વળવામાં સહાય મળશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, રાજુલા અને જાફરાબાદના પ્રાંત અધિકારીશ્રી રાજુલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, રાજુલા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શાળાના શિક્ષકો, આચાર્ય, ગ્રામજનો અને સીદી સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments