ગુજરાત રાજ્યની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૯ મી રથયાત્રાને પહિંદ વિધિ કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા અને સંતો- મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવાયો હતો. “જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૮ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેનાં નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. કેન્દ્રીયમંત્રી અને શ્રીમતી નીમુબેન બાંભણીયા એ જણાવ્યું હતું કે, ભગવાન પોતે નગરજનોનાં ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી રહી છે ત્યારે ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા ભાવનગરમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે.
સુભાષનગર ભગવાનનાં મંદિર સામેથી રથની પૂજા, અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રાને માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ અવનવા પ્લોટસ રથયાત્રામાં જોડાયા હતા. છેલ્લા ૩૯ વર્ષથી અષાઢી બીજનાં રોજ દેશની ત્રીજા ક્રમની અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની
રથયાત્રા યોજાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા ભાવનગર ખાતે યોજાઇ રહી છે. રથયાત્રાનાં સમગ્ર આયોજન દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અલગ- અલગ જિલ્લામાંથી પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યાં છે. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો
સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડે સવાર પોલીસ તથા બી.એસ.એફ, સી.આર.પી.એફ. જવાનો જોડાયાં હતાં. આ રથયાત્રામાં હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
આ રથયાત્રાને સફળ બનાવવા માટે શ્રી હરુભાઇ ગોંડલીયા એ અભિનંદન આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિનાં નીજ મંદિર પરત ફરશે. આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા, મ્યુનિસિપલ
કમિશનર શ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, આગેવાન શ્રી અભયભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments