અમરેલી

રાજ્ય સરકારની રોજગારલક્ષી યોજના થકી રાજુલાના યુવક સંપૂર્ણપણે આત્મનિર્ભર બન્યા

ફૂટવેરના વ્યવસાય માટે ૧.૫૦ લાખની લૉન મળતા કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી

વિવિધ રોજગારલક્ષી યોજનાઓ થકી યુવાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અસંગઠિત, ઓછી આવક ધરાવતા અને છૂટક કામકાજ કરતા લોકો આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી પગભર થાય તે માટે વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અમલમાં છે. તાજેતરમાં દિનદયાળ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનના સ્વરોજગાર કાર્યક્રમ હેઠળ ફૂટવેરનો વ્યવસાય વિકસાવવા માટે પાર્થભાઈ શેલડીયાને રૂ. ૧.૫૦ લાખની લોન મળતા તેઓના કુટુંબનું જીવન ધોરણ ઊંચું આવ્યું હતું.

આ અંગે વધુ વાત કરતા પાર્થભાઈ જણાવે છે કે ફૂટવેરના વ્યવસાય માટે હું વિચારી રહ્યો હતો પણ નબળી આર્થિક પરિસ્થિતિના લીધે રોકાણ ન કરી શકતા. તાજેતરમાં વ્યવસાય વિકસાવવાના હેતુ માટે મળતી લૉન અંગે માહિતી મળતા અમે તાત્કાલિક સબંધિત કચેરીની મુલાકાત લીધી. રાજુલા નગરપાલિકામાં સરકારની એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સબસીડીવાળી લોન મને મળવાપાત્ર હોવાથી નગરપાલિકાના એન.યુ.એલ.એમ. વિભાગની મુલાકાત લીધી અને તાત્કાલિક અરજી મંજૂર થયા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૧.૫૦ લાખની લૉન આપવામાં આવી હતી. લોન મળ્યાના ખૂબ ઓછા સમયગાળામાં મારી આવકમાં પણ વધારો થયો છે. અને વર્તમાન સમયમાં મારા કુટુંબની તમામ જરૂરીયાતો ખુબ જ સરળતાથી પુરી કરવા પગભર થયો છું.

ઉલ્લેખનીય છે કે આગામી ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ખાતેથી ૨૬ ફેબ્રુઆરીના રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવનાર છે. આ મેળામાં અમરેલી જિલ્લાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવનાર છે.

Related Posts