વિકાસલક્ષી અભિગમને વરેલી રાજ્ય સરકારના પ્રજાલક્ષી નિર્ણયોને લીધે અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોએ વેગ પકડ્યો છે. વિકાસની ગતિ પર અમરેલી જિલ્લો પણ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નિર્મિત સાવરકુંડલા બાયપાસનું મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પીપાવાવ-અમરેલી-સાયલા-અંબાજી પ્રગતિપથ-૧ અંતર્ગત આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૪ પર રુ.૩૭ કરોડના ખર્ચે ૯.૧૨ કિ.મી. બાયપાસ તૈયાર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રના વિકાસના આધાર સ્થંભ સમા માળખાને સુદ્રઢ બનાવવાનો નિર્ધાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આઝાદી બાદ પહેલીવાર આ વર્ષે દેશના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઐતિહાસિક રુ. ૧૦ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, એવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા પણ ઐતિહાસિક રુ.૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભારત અને રાજ્ય સરકારે રજૂ કરેલા ઐતિહાસિક બજેટથી વિકાસની યાત્રા તેજ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત વિકાસકાર્યો થઈ રહ્યા છે. બજેટમાં ફાળવવામાં આવેલી રકમ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓને જોડવામાં આવ્યા છે જ્યારે ખેડૂતોના માલસામાનની હેરફેર માટે ૪૦૦ કિસાન રેલ દોડાવવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે દેશના સહકાર મંત્રાલય દ્વારા નવી ૦૨ લાખ મંડળીઓને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ વિકાસ વધુ આગળ વધી શકે તે માટે આ મંડળીઓમાં ૨૫ મુદ્દાના કાર્યક્રમો પણ શરુ રહેશે. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ શહેરી વિસ્તારના વિકાસ અને
નાગરિકોની સુવિધાઓમાં ઉમેરો થાય તે માટે વધુ કઈ કામગીરી હાથ ધરી શકાઈ તે જોવા સૂચન કર્યુ હતુ.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી વધુ વિકાસ કાર્યો અમલી થયા છે. સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ, રાજ્ય સરકારે મંજૂર કરેલા વિકાસકાર્યોની વિગતવારે માહિતી આપી હતી. સાવરકુંડલા બાયપાસના વિકાસકાર્ય માટે તેમણે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર પણ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, સાવરકુંડલાના વિવિધ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા આશરે રુ.૧૨૭ કરોડ મંજૂર કર્યા છે જેના દ્વારા નાવલી નદીની સફાઈ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગટર લાઈન, રિવરફ્રન્ટ અને પ્રવાસન જેવા કાર્યો થશે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યુ હતુ કે, આ બાયપાસના નિર્માણથી સાવરકુંડલાના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય વિકાસકાર્યોની માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓએ બાયપાસના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે સાંસદશ્રીએ ઉઠાવેલી જહેમતને બિરદાવી હતી. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, માર્ગ મકાન વિભાગ (રાજ્ય)ના અધિકારીશ્રીઓ, સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, તેમજ નગરશ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments