ભાવનગરના એક અનોખા ડોક્ટરે કોરોના રસીકરણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પોતાની કારને જ રથમાં ફેરવી નાખી છે.
આ કાર પર કોરોના રસીકરણ વિશે જાગૃતિ લાવતાં સૂત્રો ચિપકાવીને તેઓ અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે. અને હજી તેમની આ પ્રવૃત્તિ સતત ચાલું છે.
ભાવનગરના આ વ્યક્તિનું નામ ડૉ.અજયસિંહ જાડેજા છે. તેઓ ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેનર પણ છે.
તેઓ નાગરિકોને ટ્રાફિક ટ્રેનર હોવાના નાતે નાગરિકોને ટ્રાફિકના નિયમો સમજાવીને એનું પાલન કરવાનાં પાઠ પણ ભણાવે છે. એ રીતે તેઓ લોકોને જાગૃત કરવાના કાર્યમાં પહેલેથી જ સંકળાયેલા છે.
તેઓ કહે છે કે, દેશને ઉપયોગી થાય તેવા કાર્યમાં તેઓ હંમેશા આગળ રહે છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં લોકો કોરોનાની રસી લેવા માટે આગળ આવતાં નહોતાં અને રસી લેવાથી એક પ્રકારનો ડર અનુભવતા હતાં.
આ જોઈને પોતે ડોક્ટર હોવાના નાતે તેમને લાગ્યું કે, લોકોમાં કોરોનાની રસી વિશેની જાગૃતિ નથી. તેથી લોકો રસી લેવામાં સંકોચ અનુભવી રહ્યાં છે.
જો લોકોમાં કોરોનાની રસી લેવા માટેની જાગૃતિ ફેલાવવામાં આવે તો લોકો આપોઆપ રસી લેવા માટે આગળ આવશે. આવાં વિચારથી તેમણે પોતાની ગાડીને જ કોરોના રથમાં ફેવરીને લોકોને જાગૃત કરવા માટે રાજ્યનું પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું.
તેની શરૂઆત તેમણે ભાવનગર જીલ્લાના નાના ગામો અને કસ્બાઓથી કરી. આ ગામોમાં તેમને મળેલા સારા પ્રતિભાવ બાદ તેમને લાગ્યું કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અને તેના વિષે જાગૃતિ લાવવી જોઇએ. અને તે રીતે તેમના આ પ્રવાસની શરૂઆત થઈ.
ત્યારબાદ તેઓ ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓમાં પણ કોરોના રથને લઈને ફર્યા અને લોકોમાં કોરોનાની રસી લેવા વિશેની જાગૃતિ ફેલાવી.
કોરોનાના રસી આપવાની શરૂઆત થઈ ત્યારે લોકો રસી લેવાથી ખૂબ જ ડરતાં હતાં. ત્યારે તેઓએ સૌ પ્રથમ પોતાના ઘરના સભ્યોને રસી લેવડાવી અને પડોશમાં લોકોમાંથી રસી પ્રત્યેનો ડર દૂર કર્યો.
આ પછી તેઓએ વિચાર આવ્યો કે, આ કાર્ય માટે જો વધારે જાગૃતિ કેળવવામાં આવે તો લોકો વધારે રસી લઇ શકે છે અને કોરોના સામે સુરક્ષિત બની શકે છે.
આ માટે તેઓએ પોતાની વેગનઆર ગાડીમાં પોસ્ટરો લગાવી ભાવનગર કલેકટરના હસ્તે કોરોના રથને પ્રસ્થાન કરાવ્યો હતો. સૌ પ્રથમ તેમણે ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરીને લોકોમાં રસીકરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવી હતી.
પોતાની કાર પર લગાવેલા સૂત્રો ગામડાના અને અભણ લોકો ન સમજી શકે તે માટે તેઓ પોતાની સાથે માઇક પણ રાખે છે અને આ માઇક દ્વારા કોરોના રસીકરણ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી રસીકરણ શા માટે અગત્યનું છે? તેનાં વિચારો ફેલાવે છે.
તેમના આ કાર્ય માટે તેમને ભાવનગર આરોગ્ય તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો છે. ભાવનગર આરોગ્યની ટીમ દ્વારા જે ગામ શહેર કે લત્તામાં કોરોના રસીકરણનો કેમ્પ કરવાનો હોય તેના આગલાં દિવસે જ ડો.અજયસિંહ જાડેજા પોતાની વેગનઆર સાથે પહોંચી જાય છે અને કોરોના રસીકરણ વિશે જાગૃતિ ફેલાવે છે. જેથી આરોગ્ય ટીમને ગામ લોકોને સમજાવવા પડતાં નથી અને રસીકરણની કામગીરી સરળતાથી થઈ શકે છે.
ભાવનગર શહેર સિવાય તેઓ કોળીયાક, ઘોઘા, વલ્લભીપુર તેમજ શહેરની કોલેજોમાં પણ કોરોના રસીકરણ વિશેની જાગૃતિ ફેલાવી છે.
આ ઉપરાંત તેઓ પોતાના કોરોના રથને લઈને રાજકોટ, ગોંડલ,જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, લીંબડી, કચ્છ- ભુજ, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, વડોદરા, પાવાગઢ, બોરસદ વગેરે સ્થળોએ કોરોના રથ ફેરવીને ૨૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને લોકોમાં જાગૃતિ લાવી છે.
ડો.અજયસિંહ જ્યાં પણ જતાં ત્યાં લોકો કોરોના વિશે અનેક પ્રશ્નો પૂછતાં તેઓ આ પ્રશ્નોના જવાબ શાંતિથી સમજાવીને આપતાં અને તેમના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવતાં જેને કારણે નાગરિકોમાં કોરોના રસીકરણ વિશેનો ભય દૂર થતો અને લોકો રસી લેવા માટે આગળ આવતાં હતાં.
નેચરોપથીના ડોક્ટર એવાં અજયસિંહ કહે છે કે, ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટે આ પૃથ્વી પર મોકલ્યાં છે, અને તે કરવું તે આપણો પરમ ધર્મ છે તેમ માનીને પોતાનો કામ ધંધો પણ અટકાવીને લોકોને જાગૃત કરવા માટે તેઓ ગામેગામ ફરી રહ્યાં છે.
તેમને એ વાતનો આનંદ છે કે, તેમની આ પ્રવૃત્તિને કારણે લોકોમાં જાગૃતિ આવી છે અને રસીકરણ માટે લોકો આગળ આવ્યાં છે. કોરોનાના કાળ દરમિયાન આપણે મોટા પ્રમાણમાં લોકોના મોત થતાં જોયાં છે.
ભવિષ્યમાં વધુ માનવ ખુવારી ન થાય અને માનવ જાતનું રક્ષણ થાય તે માટે માનવ સેવાની વાત હોય તો આગળ આવવું પડે. તે કાર્ય કર્યું છે તેનો મને આનંદ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઉંમરલાયક લોકોનો પોતાની ગાડીમાં કેમ્પના સ્થળ સુધી પહોંચાડ્યા છે.લોકો તેમને ફોન કરીને આભાર વ્યક્ત કરે છે. આ તેમના કરેલા કાર્યનું ફળ છે તેમ તેઓ માને છે.
કોરોના કાળમાં અને ત્યારબાદ પણ ડો. અજયસિંહ જેવાં સેવાભાવી લોકોને કારણે લોકોમાં વ્યાપક જાગૃતિ આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે દેશના તમામ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને દેશ ધીમે – ધીમે તેની પૂર્વવત્ સ્થિતિમાં આવી રહ્યો છે તે આનંદની વાત છે.
Recent Comments