ગત તારીખ 28-10-2024 ને સોમવારના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામ મુકામે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતમાતા સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ હતો, જેના અનુસંધાને અમરેલી જિલ્લાના ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી તથા ઉપપ્રમુખ વિપુલ પોંકિયા દ્વારા અમરેલી કલેકટરને તારીખ 23-10-2024 ના રોજ રૂબરૂ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને 50 ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે રૂબરૂ મુલાકાત કરવાનો માન. કલેકટર પાસે સમય માગવામાં આવ્યો હતો, અને જો વડાપ્રધાનશ્રીને ખેડૂતોને મળવા માટેનો સમય તથા મંજૂરી આપવામાં ન આવે તો વડાપ્રધાનશ્રીનું ખેડૂતો દ્વારા કાળા વાવટા ફરકાવીને સ્વાગત કરવાની ચીમકી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ આપી હતી,
જેના અનુસંધાને ખેડૂતોના કાળા વાવટા ફરકાવવાના ડરના કારણે અમરેલી LCB પોલીસ દ્વારા કાર્યક્રમની આગલી રાત્રે કોંગી પ્રમુખ મનીષ ભંડેરીને તરવડા ખાતે તેમના નિવાસ્થાનેથી અટકાયત કરીને અમરેલી LCB પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, તેમની સાથે જ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાને પણ ખીજડીયા રાદડિયા ખાતે તેમના નિવાસસ્થાનથી અમરેલી LCB પોલીસ દ્વારા અટકાયત કરીને અમરેલી LCB પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતમાતા સરોવરનો લોકાર્પણ કાર્યક્રમ સાંજે-૬:૦૦ વાગ્યે પૂર્ણ થયા બાદ કોંગી પ્રમુખ મનીષ ભંડેરી અને ઉપપ્રમુખ વિપુલ પોંકિયાને પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા, આમ ખેડૂતોનો અવાજ બનતા તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી તથા ઉપપ્રમુખ વિપુલ પોંકિયાની ગેર બંધારણીય રીતે અટકાયત કરીને ભાજપ સરકાર દ્વારા લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Recent Comments