ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જિલ્લાના ઘોરણ- ૬ થી ૧૨ ના ૧ લાખ ૩૯ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું

*વિદ્યાર્થી અવસ્થામાં અને પરીક્ષા સમયે ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે ઃ ઘારાસભ્ય શ્રી રીટાબેન પટેલ
*ગાંધીનગર જિલ્લાની ૧૧૩૧ શાળામાં પ્રસારિત થયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ૯ હજાર કરતાં વઘુ શિક્ષકો અને ૧૫ હજાર કરતાં વઘુ વાલીઓ સહભાગી બન્યા

ગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓમાં ઘોરણ- ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની ૧૧૩૧ શાળાઓમાં ૧ લાખ ૩૯ હજાર કરતાં વઘુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી બની વડાપ્રઘાનશ્રી અને વિદ્યાર્થીઓ વચ્ચેની ચર્ચાને નિહાળી તથા સાંભળી હતી. પરીક્ષા પે ચર્ચા નો જિલ્લા કક્ષાના કાર્યક્રમ કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ઉમા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના હોલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમનાં આરંભે કરી ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અવસ્થામાં અને પરીક્ષા સમયે ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. ટાઇમ મેનેજમેન્ટ આપનું જેટલું સારું હશે, તેટલા આપ તણાવ મુક્ત રહેશો. વાંચનના કલાકો નહિ, પણ જે પણ વાંચન કરો તે સ્વસ્થ અવસ્થામાં કરવાથી ખૂબ ફાયદો થાય છે. મા-બાપ કહે અને આપ ભણવા બેસો, તેના કરતાં વિદ્યાર્થી પોતાનો ગોલ નક્કી કરી તેને પ્રાપ્ત કરવા ઘગશથી અભ્યાસ કરે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં સહભાગી થયેલ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ર્ડા.ભગવાનભાઇ પ્રજાપતિ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ર્ડા. પિયુષભાઇ પટેલ, ડાયેટના આચાર્ય શ્રી હિતેશ દવે સહિત મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાનશ્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ હોલમાં બેસી નિહાળ્યું હતું.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જિલ્લાના ચાર તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અને અન્ય શાળાઓ મળી કુલ- ૧૧૩૧ શાળાઓમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઘોરણ- ૬ થી ૧૨ ના કુલ ૧,૩૯,૪૪૪ વિદ્યાર્થીઓએ રસ પૂર્વક સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમજ કાર્યક્રમમાં થયેલ વડાપ્રધાનશ્રી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ સાંભળ્યો હતો. જિલ્લાના વિવિધ સ્થળો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ૯૪૬૮ શિક્ષકો અને ૧૫ હજાર કરતાં વઘુ વાલીઓ પણ સહભાગી બન્યા હતા.

Related Posts