આઇ.ઓ.સી.એલ.ની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં મોતને ભેટેલા કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના સ્વજનોએ વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કરી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. રિફાઇનરીના અધિકારીઓ અને પોલીસની સમજાવટ પછી સાંજે બંને મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. સોમવારે બપોરે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયરના ઉપ્લબ્ધ સાધનો પણ આગને બુઝવવામાં નિષ્ફળ રહ્યા હતા. આગે ઝડપથી વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
વડોદરા, અંકલેશ્વર, ભરૃચ, હાલોલ, આણંદના ફાયરબ્રિગેડના સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો હતો. લગભગ આઠ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ધીમંત સુરેશભાઇ મકવાણા, તથા કેન્ટિનના કર્મચારી શૈલેષ શનાભાઇ મકવાણા, ના મોત થયા હતા. જવાહર નગર પોલીસ બંનેના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમા લાવી હતી. મૃતકના સ્વજનોએ જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરંતુ, પોલીસ અને રિફાઇનરીના અધિકારીઓની સમજાવટથી સાંજે સાડા ચાર વાગ્યે ધીમંતના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
જ્યારે શૈલેષ મકવાણાના પરિવારજનો પણ ત્યારબાદ માની જતા સાંજે છ વાગ્યે મૃતદેહ તેના પરિવારનો સુપરત કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં બંનેનું પેનલ પી.એમ. કરાયું રિફાઇનરીના બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર બે કર્મચારીઓના મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. બપોરે સયાજી હોસ્પિટલમાં પેનલ પી.એમ. કરવામાં આવ્યું હતું. ફાઇનલ રિપોર્ટ માટે વિશેરા એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે. ધીમંત મકવાણા બ્લાસ્ટના સ્થળે હાજર હતા. આગની જ્વાળાઓ અને બ્લાસ્ટના કારણે તેઓને ગંભીર ઇજા થઇ હતી. તેમના આંતરિક અંગો પણ ફાટી ગયા હતા. કેન્ટિનના કર્મચારી શૈલેષભાઇ મકવાણાને બીજા બ્લાસ્ટમાં ઇજા થઇ હતી. બ્લાસ્ટ થયો ત્યારે તેઓ ટેન્કથી દૂર હતા. પરંતુ, બ્લાસ્ટ એટલો પાવરફૂલ હતો કે, તેઓને ભારે શોક લાગ્યો હતો અને આંતરિક અંગો ફાટી ગયા હતા.
Recent Comments