ગુજરાત

વડોદરાના સામૂહિક આપઘાત કેસઃ છેતરપિંડી કરનારા ૨ જ્યોતિષી રાજસ્થાનથી ઝડપાયા

વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં થયેલા સામૂહિક આપઘાત કેસમાં સમા પોલીસે રાજસ્થાનમાંથી બે જ્યોતિષીને ઝડપી પાડ્યા છે. ૩૩ વર્ષીય સીતારામ ઉર્ફે શૈલેષ ભાર્ગવ અને ૩૧ વર્ષીય ગજેન્દ્ર ભાર્ગવને ગુરૂવારે મોડી રાત્રે કોવિડ રિપોર્ટ માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયા હતા. કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ બંનેની ધરપકડ થશે. બંને જ્યોતિષી રાજસ્થાનના નાગોરના રહેવાસી છે. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પોલીસે વડોદરાના બે સહિત ૯ જ્યોતિષી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. સોની પરિવાર સાથે છેતરપિંડી બાદ એક જ્યોતિષીની મૃત્યુ થયું હતું.

ઘરમાં સોનાના દાગીના ભરેલા કળશ દટાયેલા હોવાની લાલચ આપીને વડોદરા-અમદાવાદના ૯ જ્યોતિષીઓએ નરેન્દ્ર સોની પાસેથી રૂ.૩૨.૮૫ લાખ પડાવી લઈ છેતરપિંડી કરી હતી. જીવન ગુજરાન ચલાવવા માટે કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી આઘાતમાં આવી ગયેલા પરિવારના સભ્યોને ઘરના મોભી નરેન્દ્ર સોનીએ આપઘાત કરી લેવા જણાવ્યું હતું. નરેન્દ્ર સોનીએ લાવેલું ઝેર કોલ્ડ્રીંક્સમાં ભેળવી પરિવારે પી લીધું હતું. સામૂહિક આપઘાતમાં દાદા, પૌત્ર અને પુત્રીનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
જ્યારે માતા બાદ પુત્ર ભાવિન સોનીનુ પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. સામૂહિક આપઘાત મામલે પોલીસે મૃતક ભાવિન સોનીના નિવેદનના આધારે ૯ જ્યોતિષો સામે રૂ. ૩૨ લાખ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેથી ભાગતા ફરતા જ્યોતિષો પૈકી પાંચે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં પ્રહલાદરામ જાેષી, ખીનરાજ જાેષી, હેમંત જાેષી, અલ્કેશ જાેષી અને વિજય જાેષીનો સમાવેશ થાય છે. જેની સુનાવણી આજે હાથ ધરાશે.

Related Posts